(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જણાવ્યું હતું કે નીટ ‘પેપર લીક’ કેસમાં સંડોવાયેલા દરેક વ્યક્તિ સામે કાર્યવાહી થવી જોઈએ અને રાજ્યની પોલીસ આ કૌભાંડની ચાલી રહેલી સીબીઆઈની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપશે તેવી ખાતરી આપી હતી.
મેડિકલ કોલેજોમાં અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની નીટ (યુજી) 2026ની પરીક્ષા પેપર લીકના આરોપો વચ્ચે મંગળવારે રદ કરવામાં આવી હતી. કેન્દ્રએ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને ‘અનિયમિતતાઓ’ની વ્યાપક તપાસ કરવા જણાવ્યું છે.
પેપર લીક કેસ વિશે પૂછવામાં આવતા ફડણવીસે કહ્યું હતું કે, ‘અમે ઇચ્છીએ છીએ કે આ મામલામાં સામેલ દરેક વ્યક્તિ સામે, નીચલા સ્તર સુધી, કાર્યવાહી કરવામાં આવે.’
ગૃહ મંત્રાલયનો હવાલો સંભાળતા ફડણવીસે એવી ખાતરી આપી કે રાજ્ય પોલીસ ચાલુ તપાસમાં કેન્દ્રીય એજન્સીને સંપૂર્ણ સહયોગ આપશે.