Sun Jul 26 2026

Logo

નાગાલેન્ડમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન; 8 લોકોના મોત, 12થી વધારે ઘાયલ...

2026-07-20 08:44:00
Author: Vimal Prajapati
Article Image

મોન, નાગાલેન્ડઃ ભારતમાં અત્યારે ઉત્તર પૂર્વના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, નાગાલેન્ડમાં ભારે વરસાદ થયો છે. જેના કારણે મોન જિલ્લામાં અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. આ ભૂસ્ખલનના કારણે અત્યારે સુધીમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે 12થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. એક બાજુ સતત ભારે વરસાદ થઈ રહ્યો છે અને બીજી બાજુ ભૂસ્ખલનના કારણે અત્યારે લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

ભૂસ્ખલનના કારણે અત્યારે સુધીમાં આઠ લોકોના મોત

તંત્રના જણાવ્યાં પ્રમાણે જે આઠ લોકોના મોત થયાં છે, તેમાંથી ચારના મૃતદેહને બહાર કાઢી લેવામાં આવ્યાં છે, જ્યારે ચાર મૃતદેહને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. નાગાલેન્ડમાં મોન કસ્બા અને તિબિત સૌથી વધારે પ્રભાવિત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. મોડી રાત્રે જ ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. પરંતુ ભૂસ્ખલનની સૂચના તંત્રને સવારે 7 વાગ્યાની આસપાસ મલી હતી. સૂચના મળતાની સાથે તંત્ર દ્વારા બચાર અને રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. 

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે અત્યારે એનડીઆરએફ, પોલીસ, આસામ રાયફલ્સ અને સ્થાનિકો દ્વારા બચાવ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. કાટમાળ નીચેથી ત્રણ મહિલા અને એક પુરૂષના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે. અનેક જગ્યાએ આ બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

 

નાગાલેન્ડના મોન જિલ્લામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે થયેલી એક દુ:ખદ ઘટનામાં આઠ લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ મૃતકોના પરિવારજનોને ₹4 લાખ અને ઘાયલોને ₹74,000 ની સહાયની જાહેરાત કરી છે.

 

બીજેપી નાગાલેન્ડના પ્રદેશ અધ્યક્ષ બેન્જામિન યેપથોમીએ આ મામલે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, ‘મોન જિલ્લામાં થયેલા ભૂસ્ખલનમાં અનેક લોકોનો જીવ ગયો અને મોકોકચુંગ જિલ્લાના તુલી ક્ષેત્રમાં થયેલા ભૂસ્ખલનના કારણે અનેક પરિવારોને ભારે કષ્ટ પહોંચ્યું છે, જેના કારણે હું દુઃખી છે’. આ પરિવારો માટે દુઃખ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પણ પ્રાર્થના કરું છું અને આ વિનાશક આપત્તિથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું’.