(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના નગરસેવકોના એક પ્રતિનિધિ મંડળે સોમવારે ગોરેગામમાં છેલ્લા આઠ વર્ષથી બાંધવામાં આવી રહેલા મૃણાલતાઈ ગોરે ફ્લાયઓવરના સ્થળની મુલાકાત લીધી હતી અને થઈ રહેલા કામની સમીક્ષા કરતા કહ્યું હતું કે બાંધકામમાં વિલંબ જાણીજોઈને થઈ રહ્યું હોવાનું જણાય છે.
નોંધનીય છે કે પાલિકાની સ્થાયી સમિતિમાં બ્રિજના ખર્ચમાં થયેલા વધારાને લગતા મુદ્દા સામે નારાજગી વ્યક્ત કરીને તે પ્રસ્તાવ મંજૂરી આપવાનો ઈનકાર કર્યા બાદ સાઈટનું સોમવારે ઈન્સ્પેકશન કર્યું હતું.
કૉંગ્રેસના ગ્રૂપ લીડરે ઈન્સ્પેકશન બાદ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ પૂર્ણ થવાને આરે છે. ત્યારે આ ક્ષણે ખર્ચમાં વધારો કરવો અયોગ્ય છે. સ્પષ્ટપણે જણાઈ આવ્યું છે કે પ્રારંભમાં યોગ્ય આયોજન વિના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. તેથી સત્તાવાળાઓ એક પાઠ તરીકે લેવો જોઈએ અને યોગ્ય રીતે આગળ વધતા ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટના નિર્માણ માટે યોગ્ય યોજના અમલમાં મૂકવાનો પ્રયાસ કરવો જોઈએ.
ભાજપના નગરસેવક અને સ્થાયી સમિતિના અધ્યક્ષ પ્રભાકર શિંદે જેઓ આ પ્રતિનિધિ મંડળનો ભાગ હતા તેમણે કહ્યું હતું બ્રિજ આગામી એક મહિનામાં પૂર્ણ થઈ જશે. બ્રિજ સ્ટીલનો માળખાનો છે અને વાલભાટ નદીની ઉપરથી પસાર થતા થાંભલાઓને ફરીથી ગોઠવવાના હોવાથી વિલંબ થયો છે.
પાલિકાના દસ્તાવેજ અનુસાર જયારે આઠ વર્ષ પહેલાં આ બ્રિજ બનાવવા માટેના વર્ક ઓર્ડર જારી કરવામાં આવ્યા હતા ત્યારે પાલિકા પ્રશાસને ૧૭૦.૮૨ રૂપિયાના ખર્ચે ફ્લાયઓવર બનાવવા માટે ૨૪ મહિનાની સમયમર્યાદા નક્કી કરી હતી. જોકે હજી સુધી પ્રોજેક્ટનું બાંધકામ ચાલુ છે.
છેલ્લા આઠ વર્ષમાં આ પ્રોજેક્ટનો ખર્ચ બે વખત સુધારો નોંધાયો છે. ખર્ચમાં સુધારાનો નવો પ્રસ્તાવ આ મહિનાની શરૂઆતમાં સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યો હતો. હાલમાં આ ૭૫૦ મીટરના ફ્લાયઓવરની એકંદર કિંમત ૨૪૭ કરોડ છે, જે ૨૦૧૮ની સરખામણીમાં ૪૫ ટકા વધારે છે.