મુંબઈઃ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વધતી જતી ગેરકાયદે બાઇક ટેક્સી સેવાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે અને નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓ સામે કેસ નોંધવામાં આવ્યા છે. ઉપરાંત, પરિવહન પ્રધાને વિધાનસભામાં જાહેરાત કરી છે કે સંબંધિત કંપનીઓના કામચલાઉ લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે, તેથી આ કંપનીઓની સેવાઓ હવે ઉપલબ્ધ રહેશે નહીં. ચાલો આ વિશે વિગતવાર માહિતી જાણીએ.
વિધાન પરિષદમાં નિયમ 93 હેઠળ સભ્ય સુનિલ શિંદેએ રજૂ કરેલા સૂચનનો જવાબ આપતા, પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની મોટર વાહન એગ્રીગેટર માર્ગદર્શિકા 2020 મુજબ મહારાષ્ટ્રમાં ઈ-બાઈક (ટુ-વ્હીલર) ટેક્સી માટે એક અલગ નીતિ તૈયાર કરવામાં આવી છે.
આ નીતિને રાજ્ય પ્રધાન મંડળ દ્વારા 7 ઓગસ્ટ, 2024ના મંજૂરી આપવામાં આવી હતી અને રાજ્યમાં એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં ઇ-બાઇક ટેક્સી સેવાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ નિર્ણય મુજબ, 'મહારાષ્ટ્ર ઇ-બાઇક-ટેક્સી નિયમ, 2024' સૂચિત કરવામાં આવ્યા છે અને આ નિયમો અનુસાર, બાઇક ટેક્સી માટે 100 ટકા ઇલેક્ટ્રિક હોવું ફરજિયાત છે. ઉપરાંત, અરજદારોને તમામ નિયમો અને શરતો પૂર્ણ કરવા માટે ચોક્કસ સમય આપવામાં આવ્યો છે.
આ પ્રક્રિયા મુજબ, ઉબેર ઇન્ડિયા સિસ્ટમ્સ, રેપિડો ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ અને એની ટેક્નોલોજીસ (ઓલા)ને મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં 30 દિવસ માટે કામચલાઉ લાઇસન્સ આપવામાં આવ્યા હતા.
એની સાથે એવી પણ અપેક્ષા રાખવામાં આવી હતી કે આ સમયગાળા દરમિયાન બધી જરૂરી શરતો પૂરી થશે અને અંતિમ લાઇસન્સ મેળવવામાં આવશે. જોકે, કેટલીક કંપનીઓએ નિયમોનું પાલન કર્યા વિના ગેરકાયદે પરિવહન શરૂ કર્યું હતું.
ઉપરાંત, કેટલીક જગ્યાએ બાઇક ટેક્સી ડ્રાઇવરોથી અકસ્માતો અને મહિલાઓની સલામતી અંગે ફરિયાદો મળી છે. તેથી, પરિવહન વિભાગે સંબંધિત કંપનીઓને નોટિસ ફટકારી છે અને કેટલાક કિસ્સાઓમાં કેસ નોંધવામાં આવ્યા છે.
પરિવહન વિભાગે રાજ્યભરની પ્રાદેશિક અને ઉપ-પ્રાદેશિક પરિવહન કચેરીઓને ગેરકાયદેસર બાઇક ટેક્સી સામે કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે. ટીમો તપાસ કરી રહી છે અને દોષિત વાહનો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
એપ્રિલ 2024થી અત્યાર સુધીમાં 130 ટુ-વ્હીલર સામે કાર્યવાહી કરીને 33 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે નિયમોનું ઉલ્લંઘન સહન કરવામાં આવશે નહીં.