Wed Jun 17 2026

Logo

મધ્યપ્રદેશના આ શખ્સે બ્રિટિશ સરકાર પાસે દાદાએ આપેલી રૂ. 35,000ની લોન પરત માંગી; વ્યાજ સાથે રકમ કરોડોમાં... વ્યાજ સાથે રકમ કરોડોમાં...

2026-02-26 17:50:15
Author: Darshna Visaria
Article Image

હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા હશો, પરંતુ આ હકીકત છે અને તમને કદાચ આ આખી સ્ટોરી શું છે એ જાણવાની તાલાવેલી પણ થઈ ગઈ હશે. તમારા વિચારોના ઘોડાની લગામ તાણો, કારણ કે આપણે આગળ લેખમાં આ કિસ્સા વિશે વિસ્તારથી વાત કરીશું. મધ્યપ્રદેશના સીહોર જિલ્લાના વતની અને હાલ ભોપાલમાં રહેતા 63 વર્ષીય વિવેક રુથિયાએ કરેલાં દાવા અનુસાર તેમના દાદાએ આજથી 109 વર્ષ પહેલાં બ્રિટિશ સરકારને પ્રથમ વિશ્વયુદ્ધ લડવા માટે લાખોની કિંમતની લોન આપી હતી, જે આજે પણ વણચૂકવાયેલી છે અને હવે તેઓ બ્રિટીશરો પાસેથી દાદાનું એ દેવું વસૂલવા માટેની કાનુની લડત લડવા કમર 

શું છે આ ઐતિહાસિક લોનનું રહસ્ય?

મધ્યપ્રદેશના સીહોર જિલ્લાના વતની અને હાલ ભોપાલમાં રહેતા 63 વર્ષીય વિવેક રુથિયાને હાલમાં જ થોડાક સમય પહેલાં તેમના પારિવારિક દસ્તાવેજોની તપાસ દરમિયાન વર્ષ 1917નું એક ઓરિજનલ સર્ટિફિકેટ મળી આવ્યું છે. આ સર્ટિફિકેટમાં આપવામાં આવેલી વિગત અનુસાર તેમના દાદા શેઠ જુમ્મા લાલ રુથિયાએ 1917માં ઈન્ડિયન વોર લોન' હેઠળ બ્રિટિશ સામ્રાજ્યને પ્રથમ વિશ્વયુદ્ધમાં મદદ કરવા માટે તે સમયે ₹35,000 લોન આપી હતી. આ સર્ટિફિકેટ પર તત્કાલિન ભોપાલના પોલિટિકલ એજન્ટ ડબલ્યુ. એસ. ડેવિસની સહી પણ છે.

રૂપિયા 35,000ની આજની વેલ્યુ કેટલી?

વાત કરીએ 1917ના 35,000ની આજની તારીખમાં થતી કિંમત વિશે તો નિષ્ણાતોના મતે, જો 1917ના રૂપિયા 35,000ને આજના સોનાના ભાવ અથવા મોંઘવારી દર સાથે સરખાવવામાં આવે, તો તેની કિંમત આશરે રૂપિયા 10 કરોડથી વધુ થાય છે. વળી, જો તેમાં સરેરાશ 5.5 ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ ઉમેરવામાં આવે, તો આ રકમ અબજો રૂપિયામાં પહોંચી શકે છે.

શું બ્રિટિશ સરકાર આ નાણાં પરત કરશે?

વિવેક રુથિયા હવે અંગ્રેજોને આપેલા દાદાની લોનની વસુલી માટે કમર કસી રહ્યા છે. આ મામલે કાયદાકીય લડતની તૈયારી કરી રહ્યા છે અને લંડનની સરકાર પાસેથી આ નાણાં વસૂલવા તેઓ વકીલોની સલાહ લઈ રહ્યા છે. જોકે, કાયદાકીય નિષ્ણાતો આ આંતરરાષ્ટ્રીય દાવાને અત્યંત જટિલ માની રહ્યા છે કારણ કે આ લોન સંસ્થાનવાદી (Colonial) સમયની છે. આટલા લાંબા સમય બાદ કાયદાકીય રીતે દેવું વસૂલવાની મર્યાદા નડે છે. બ્રિટિશ સરકાર આવા જૂના વ્યક્તિગત દાવાઓ સ્વીકારશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.

પરિણામ ગમે તે આવે, પરંતુ આ 109 વર્ષ જૂનું સર્ટિફિકેટ એ વાતની સાબિતી આપે છે કે એ સમયના ભારતીય વેપારીઓ કેટલા સમૃદ્ધ હતા કે તેઓ બ્રિટિશ સામ્રાજ્યને પણ લોન આપી શકતા હતા. આ કિસ્સો હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે.