સિંહોર: બ્રિટિશ સામ્રાજ્યએ ભારત પર શાસન દરમિયાન અરબો રૂપિયાની સંપતિ છીનવી લીધી હતી, કોહિનૂર હીરો ભારતને સોંપવા માટેની ચર્ચાઓ થતી રહે છે. એવામાં મધ્યપ્રદેશનો એક પરિવાર બ્રિટીશ સામ્રાજ્યને એક સદી પહેલા આપેલા 35,000 રૂપિયા વ્યાજ સહીત પરત મેળવવા તૈયારી કરી રહ્યો છે. અહેવાલ મુજબ ભોપાલના રહેવાસી વિવેક રૂથિયા બ્રિટિશ સરકારને કાયદાકીય નોટિસ મોકલવાની તૈયારી કરી રહ્યા છે. તેમની પાસે કાગળનો એક ટુકડો છે, જે દર્શાવે છે કે તેમના દાદા શેઠ જુમ્માલાલ રૂથિયાએ લગભગ 109 વર્ષ પહેલાં 1917માં બ્રિટીશ સામ્રાજ્યને 35,000 રૂપિયા ઉછીના આપ્યા હતાં.
બ્રિટીશ સામ્રાજ્યએ ઉધાર કેમ લીધું?
નોંધનીય છે કે એ સમયે શક્તિશાળી બ્રિટીશ સામ્રાજ્ય પ્રથમ વિશ્વયુધમાંથી પસાર થઇ રહ્યું હતું, સામ્રાજ્યની તિજોરીઓને માઠી અસર પહોંચી હતી, ત્યારે બ્રિટિશ સરકારને એ સમયે સિહોર અને ભોપાલ રજવાડાના સૌથી ધનિક અને પ્રભાવશાળી ઉદ્યોગપતિઓમાંના એક શેઠ જુમ્માલાલ રૂથિયા પાસેથી રૂપિયા ઉછીના લેવાની ફરજ પડી હતી.
વ્યાજ સહીત વસુલાતની તૈયારી:
આજના જમાનામાં 35,000 રૂપિયા ખુબ જ સામાન્ય રકમ છે, પરંતુ 100 વર્ષ પહેલા એ ખૂબ જ મોટી હતી. રૂથિયા પરિવારના જણાવ્યા મુજબ બ્રિટીશ સામ્રાજ્યએ આ પૈસા ક્યારેય પરત આપ્યા હતાં. હવે એક સદી કરતાં વધુ સમય બાદ રૂથિયા પરિવારે આ રકમ વ્યાજ સાથે પરત મેળવવાનો ઈરાદો બનાવ્યો છે, આજે આ રકમ કરોડો રૂપિયાની હોય શકે છે.
રૂથિયા પરિવારનો ડંકો વગાતો હતો:
બ્રિટીશ સામ્રાજ્યને ઉધાર આપ્યાના 20 વર્ષ બાદ 1937 માં શેઠ જુમ્માલાલ રૂથિયાનું અવસાન થયું હતું. આઝાદી પહેલા સિહોર અને ભોપાલ રજવાડાઓમાં રૂથિયા પરિવાર સમૃદ્ધ અને પ્રભાવશાળી પરિવારોમાંનો એક હતો. પરિવાર પાસે વિશાળ જમીનો અને અઢળક મિલકત હતી. આજે પણ સિહોરની 20 થી 30 ટકા વસાહતો એક સમયે રૂથિયાઓની માલિકી હેઠળ રહેલી જમીન પર વસેલી છે.