નવી દિલ્હી: દેશની રાજનીતિમાં છેલ્લા અનેક દિવસોથી અનેક ચડઉતર પ્રવાહ જોવા મળી રહ્યા છે. NEET પેપર લીકની ઘટના બાદ સરકાર પર CJP સહિત મુખ્ય વિરોધી પાર્ટીઓ માછલાં ધોઈ રહી છે અને શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ રાજ્યસભાની ચૂંટણીમાં નવા ચૂંટાયેલા અને જૂના નેતાઓની બાદબાકી કરવામાં આવી છે. ત્યારે હવે આ બધાની વચ્ચે કેન્દ્રની મોદી સરકારમાં મંત્રીમંડળમાં ફેરફારની ચર્ચાઓ જાગી છે. આ ચર્ચામાં સૌથી નોંધવા જેવી વાત તો છે કે તેમા શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું અને આપમાંથી છેડો ફાડીને ભાજપમાં આવેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે, પરંતુ તેમણે હજુ સુધી કોઈ સતાવાર પૃષ્ટી કરવામાં નથી આવી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના કેન્દ્રીય મંત્રીમંડળમાં ટૂંક સમયમાં ફેરબદલ થઈ શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જો કે આ અંગે નિશ્ચિત તારીખો અને નામો હજુ સ્પષ્ટ નથી, પરંતુ એવી અટકળો ચાલી રહી છે કે ઘણા મંત્રીઓને ફેરબદલ અથવા ઘરે બેસાડવામાં આવી શકે છે. જો કે નોંધવા જેવી વાત એ છે કે આ ચર્ચામાં શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. તેની સાથે તાજેતરમાં જ 'આપ'માંથી છેડો ફાડીને ભાજપનો કેસરીયો ધારણ કરનારા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે, પરંતુ આ અંગે હજુ સુધી કોઈએ સત્તાવાર ટિપ્પણી કરી નથી.
વળી આ ચર્ચાને એટલા માટે પણ વેગ મળી રહ્યો છે કારણ કે તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાદમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જુદા જુદા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, NEET પેપરલીકનો વિરોધ બાદ હવે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પર કાર્યવાહી થઈ શકે છે. જો કે એવી પણ ચર્ચા છે કે પ્રધાન હરદીપ પુરીને અન્ય વિભાગમાં અથવા તો અન્ય કોઈ શીખ અથવા પંજાબના નેતાને પણ સ્થાન આપવામાં આવી શકે છે. જો કે અહેવાલો તો એવા પણ છે કે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ, નીતિન ગડકરી અને મનોહર લાલ ખટ્ટર સહિતના નેતાઓને પડતાં મૂકવામાં આવી શકે છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર કોઈ પૃષ્ટી થઈ શકી નથી.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે ગૃહ પ્રધાન અમિત શાહની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે થયેલી મુલાકાતે આ ચર્ચાને વધુ વેગ આપ્યો છે. અમિત શાહની પહેલા મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિની મુલાકાત કરી હતી અને તેમની મુલાકાતના બે દિવસ બાદ જ હવે શાહ રાષ્ટ્રપતિને મળ્યા છે. મોદીની મુર્મુ સાથેની મુલાકાત પીએમની વિદેશ યાત્રા બાદ રાષ્ટ્રપતિને માહિતી આપવાની પરંપરાગત પ્રથાનો ભાગ હોવાનું કહેવાય છે. જો કે અમિત શાહની મુલાકાતથી કેન્દ્રીય મંત્રી પરિષદમાં ટૂંક જ સમયમાં ફેરબદલ કરવામાં આવે તે અંગે નવી અટકળો શરૂ થઈ છે.