નવી દિલ્હી: ભારત સરકાર બંગાળની ખાડીમાં આવેલા ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ધ્યાન આપી રહી છે. એવામાં આજે શુક્રવારે આંદામાન અને નિકોબાર ટાપુઓના પ્રશાસક એડમિરલ ડીકે જોશીએ ગ્રેટ નોકોબાર ટાપુ પર એક નવા એરપોર્ટના નિર્માણની જાહેરાત કરી છે. હિંદ મહાસાગરમાં ચીનના વધતા પ્રભાવનો સામનો કરવા મહત્વનું સાબિત થઇ શકે છે.
એક અહેવાલ મુજબ મુખ્ય 15,000 કરોડ ($1.6 બિલિયન) રૂપિયાના નવા લશ્કરી એરપોર્ટનું નિર્માણ કરવામાં આવશે. હાલમાં અહીં બે મિલીટરી એરસ્ટ્રીપ આવેલી છે. નવું લશ્કરી એરપોર્ટ કાર્યરત થતાં હિન્દ મહાસાગરમાં ભારતની હાજરી મજબુત થશે. અહેવાલ મુજબ નવા એરપોર્ટનો ઉપયોગ પર્યટન માટે પણ કરવામાં આવશે.
એડમિરલ જોશીએ આજે શુક્રવારે જણાવ્યું, "આગામી ત્રણ વર્ષમાં આ એરપોર્ટ પરથી પહેલી ફ્લાઇટ્સ ઓપરેટ થવાની અપેક્ષા છે." તેમણે જણાવ્યું કે સંરક્ષણ મંત્રાલય દ્વારા આ એરપોર્ટના નિર્માણનું સંચાલાન કરશે. નવા એરફિલ્ડમાં બે રનવે હશે અને તે નાગરિક ફ્લાઇટ્સ સહિત મોટા વિમાનો પણ ઓપરેટ થઇ શકશે.
વ્યુહાત્મક રીતે મહત્વ:
ગ્રેત નિકોબાર ટાપુ વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ ચોકપોઇન્ટ્સમાંના એક મલક્કા સ્ટ્રેટથી લગભગ 40 નોટિકલ માઇલ દૂર છે, જેને કારણે આ એરપોર્ટ વ્યુહાત્મક રીતે મહત્વનું સાબિત થઇ શકે છે. બીજી તરફ આ પ્રોજેક્ટ પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તારમાં છે, જેને કારણે જીવસૃષ્ટિને નુકશાન પહોંચી શકે છે.
આ એરપોર્ટ ગ્રેટ નિકોબાર ટાપુના ચિંગેનહ ખાતે નિર્માણ પામશે. ચિંગેનહ પ્રી-સુનામી ગામોમાંનું એક છે, 2004માં આવેલી સુનામી બાદ આદિવાસીઓને વિવિધ શિબિરોમાં ખસેડવામાં આવ્યા હતા; ત્યારથી તેઓ પાછા ફરવાની પરવાનગી માંગી રહ્યા છે, પરંતુ વહીવટીતંત્રે તેમને મંજૂરી આપી નથી.