Sun Apr 12 2026

Logo

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર અસર: શું વધશે મોંઘવારી? નિર્મલા સીતારામણે સ્પષ્ટતા કરી...

2026-03-09 22:35:13
Author: Viral Rathore
Article Image

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર હુમલો કરીને અનેક રાષ્ટ્રની ચિંતા વધારી દીધી છે. યુદ્ધની અસર અનેક દેશની અર્થવ્યવસ્થા પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પડી રહી છે. ક્રૂડ ઓઈલની નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. ચાર વર્ષમાં પહેલીવાર ક્રૂડ ઓઈલની કિંમત 100 ડૉલરને પાર પહોંચી છે. 114 ડૉલર પ્રતિ બેરલ થઈ જતા અનેક રાષ્ટ્રને મુશ્કેલી પડી રહી છે. 

આર્થિક વ્યવસ્થા પર ગંભીર સંકટ
ખાડીના દેશમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ઈરાને બંધ કરી દેતા અનેક જહાંજ અટવાયા હતા. ઈરાનના આ નિર્ણયે વૈશ્વિક માર્કેટમાં રોકાણકારોની ચિંતા વધારી દીધી હતી. મીડલ ઈસ્ટમાં તણાવ લાંબા સમય સુધી રહેશે તો દુનિયાભરની અર્થવ્યવસ્થા માટે સ્થિતિ ગંભીર બની જશે. આ સ્થિતિ ભારત માટે પડકારજનક છે. આ પાછળનું કારણ એ છે કે, ભારત પોતાની ઊર્જા જરૂરિયાતનો 90 ટકા હિસ્સો આયાત કરે છે, જેમાં ક્રૂડ ઓઈલ અને ગેસનો પણ સમાવેશ થાય છે. મિડલ ઈસ્ટની સ્થિતિ પર દેશના નાણા પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું હતું કે, ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારાની અસર દેશમાં મોંઘવારીને સિમિત કરી શકે છે. 

વસ્તુઓની કિંમત સ્થિર છે
હાલમાં જે રીતે દેશનો માહોલ છે એ જોતા અનેક એવી ચીજ વસ્તુઓ છે જેની કિંમત સ્થિર છે. ક્રુડ ઓઈલમાં જે રીતે ભાવ વધારો થયો છે એ ધ્યાને લેતા મોંઘવારીનો ખાસ કોઈ પ્રભાવ નહીં પડે. મોંઘવારી વધે એવી શક્યતાઓ હાલ નથી. ક્રૂડ ઓઈલની કિંમતમાં એક દિવસમાં 26 ટકાનો વધારો થયો હતો. ઈરાનમાં સુપ્રીમો સમાન અયાતુલ્લાહ અલી ખામનેઈના મૃત્યુ બાદ મોજ્તબા ખાનેઈને નવા સુપ્રીમો જાહેર કરાયા છે. 

28મી ફેબ્રુઆરીથી મિડલ ઈસ્ટમાં સ્થિતિ તણાવગ્રસ્ત છે. છેલ્લા એકવર્ષથી ઈન્ડિયન ક્રૂડ બાસ્કેટમાં કિંમતમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું હતું. ફેબ્રુઆરીના અંત સુધીમાં ઈન્ડિયન ક્રૂડ બાસ્કેટમાં કિંમત વધીને 69.01 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી હતી. ક્રૂડ ઓઈલની કિંમતમાં  આ વધારા બાદ ભારતના ગ્રાહકો પર એટલી ખાસ અસર નહીં થાય.