ખંડવા : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના ખંડવા પ્રવાસ દરમિયાન તેમના હેલીકોપ્ટરે ઉડતા જ સંતુલન ગુમાવ્યું હતું જેના લીધે સીએમ સહિત આસપાસના લોકોના જીવ તાળવે ચોંટયા હતા. જોકે, થોડી જ મિનીટમાં હેલીકોપ્ટરે સંતુલન પુન મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, આ ઘટના બાદ ત્યાં રહેલા લોકો ગભરાટ ફેલાયો હતો. મુખ્યમંત્રીના હેલિકોપ્ટરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાઇરલ થઈ રહ્યો છે.
હેલિપેડ પર વૉટરીંગ ન કરાતા ઘટના સર્જાઇ હોવાનું અનુમાન
આ ઉપરાંત હેલિપેડમાંથી ઉડતી ધૂળે જાહેર બાંધકામ વિભાગની બેદરકારી પ્રકાશિત કરી હતી. તેમજ માનવામાં આવી રહ્યું છે કે , જાહેર બાંધકામ વિભાગે ધૂળ ઉડતી અટકાવવા માટે હેલિપેડ પર વૉટરીંગ કર્યું ન હતું. જોકે, મુખ્યમંત્રીનું હેલીકોપ્ટર ઉડાન ભરતાની સાથે જ થોડીવારમાં જ ધૂળ ઉડવા લાગી હતી અને તેને સંતુલન ગુમાવ્યુ હતું. આ મુખ્યમંત્રીની સુરક્ષામાં ચૂક ગણી શકાય. જોકે, પાયલોટે તરત જ હેલિકોપ્ટરને નિયંત્રણમાં લીધું હતું.
સીએમની ખંડવાથી ભોપાલ સુધીની યાત્રા સંપૂર્ણપણે સલામત રહી
આ દરમિયાન મુખ્યમંત્રી મોહન યાદવની ખંડવાથી ભોપાલ સુધીની યાત્રા સંપૂર્ણપણે સલામત રહી. આ ઘટના બાદ વહીવટી અધિકારીઓ અને જનપ્રતિનિધિઓએ રાહતનો શ્વાસ લીધો. ઉલ્લેખનીય છે કે પંઢણામાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ 1 કરોડ પચીસ લાખ લાડલી બહેનોના ખાતામાં રૂપિયા 1,800 કરોડની રકમ ટ્રાન્સફર કરી હતી. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ લાડલી બહેનોને રૂપિયા 52,304 કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે.