આજકાલ ફિટનેસ પ્રત્યે સજાગ લોકોમાં સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાનો ક્રેઝ ખૂબ વધ્યો છે. વજન ઘટાડવા માટે આ એક રામબાણ ઈલાજ માનવામાં આવે છે, પરંતુ લોકોમાં હંમેશા એક દ્વિધા રહે છે કે વજન ઉતારવા માટે હુંફાળું લીંબુ પાણી પીવું જોઈએ કે ઠંડુ? આ અંગે સ્પષ્ટતા કરતા ડો. અનિકેટ મુલે જણાવે છે કે લીંબુ પાણી પોતે કોઈ જાદુઈ ડ્રિંક નથી જે રાતોરાત ચરબી ઓગાળી નાખે, પરંતુ તે વજન ઘટાડવાની પ્રક્રિયામાં એક મજબૂત સહાયક સાબિત થાય છે.
લીંબુ પાણી ઓછી કેલરી ધરાવતું પીણું છે જે વિટામિન-C અને એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર હોય છે. જાણીતા તબીબના મતે, લીંબુ પાણી પીવાનો સૌથી મોટો ફાયદો હાઇડ્રેશન છે. જ્યારે શરીર પૂરતું હાઇડ્રેટ હોય છે, ત્યારે ચયાપચયની ક્રિયા સુધરે છે. ઘણીવાર આપણને તરસ લાગી હોય છે પણ આપણે તેને ભૂખ સમજીને બિનજરૂરી નાસ્તો કરી લઈએ છીએ, લીંબુ પાણી આવી ખોટી ભૂખને રોકીને 'માઈન્ડફુલ ઈટિંગ'માં મદદ કરે છે.
તાપમાનના તફાવત વિશે વાત કરતા તબીબનું માનવું છે કે પોષણની દ્રષ્ટિએ ઠંડા અને હુંફાળા લીંબુ પાણીમાં કોઈ મોટો તફાવત નથી. બંનેમાં વિટામિન અને હાઇડ્રેશનના ગુણો સમાન રહે છે. હુંફાળું લીંબુ પાણી પાચનતંત્રને ઉત્તેજિત કરે છે અને જે લોકોનું પેટ સંવેદનશીલ હોય તેમના માટે તે વધુ આરામદાયક રહે છે. બીજી તરફ, ગરમીના દિવસોમાં ઠંડુ લીંબુ પાણી શરીરને તાજગી આપે છે અને પાણી પીવાનું પ્રમાણ વધારવામાં મદદરૂપ થાય છે.

એક સામાન્ય માન્યતા એવી છે કે હુંફાળું પાણી વધુ કેલરી બાળે છે, પરંતુ તબીબોનું માનવું છે કે આ વાતને સાબિત કરવા માટે પૂરતા વૈજ્ઞાનિક પુરાવા નથી. તેમના મતે, તાપમાન કરતા વધુ મહત્વની બાબત નિયમિતતા છે. જો તમને સવારે ગરમ પાણી અનુકૂળ આવતું હોય તો તે પીવો, અને જો ઠંડુ પાણી ગમતું હોય તો તે પસંદ કરો. તમે જે આદત લાંબા સમય સુધી જાળવી શકો તે જ તમારા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે.
જોકે, લીંબુ પાણી પીતી વખતે કેટલીક સાવચેતી રાખવી પણ જરૂરી છે. વધુ પડતા લીંબુના સેવનથી તેમાં રહેલા એસિડને કારણે દાંતના ઇનેમલને નુકસાન થઈ શકે છે. આથી, લીંબુ પાણી પીવા માટે સ્ટ્રોનો ઉપયોગ કરવો અથવા પીધા પછી સાદા પાણીથી કોગળા કરવા ફાયદાકારક છે. સૌથી મહત્વની વાત એ છે કે લીંબુ પાણીમાં ખાંડ કે અન્ય ગળપણ ઉમેરવાનું ટાળવું જોઈએ, અન્યથા તે કેલરી વધારી શકે છે.
અંતે, લીંબુ પાણી એ માત્ર ડિટોક્સ ડ્રિંક નથી પરંતુ લિવર અને કિડની જેવા અંગોને કુદરતી રીતે સાફ કરવામાં મદદરૂપ થતું હાઇડ્રેટિંગ પીણું છે. તમારી જીવનશૈલીમાં આ નાનકડો ફેરફાર અને તંદુરસ્ત આદતોને લાંબા સમય સુધી વળગી રહેવું એ જ વજન ઘટાડવાની અને સ્વસ્થ રહેવાની સાચી ચાવી છે.