Sun Jul 26 2026

Logo

ડેન્ગ્યુ-મલેરિયા કરતાં પણ વધુ ખતરનાક! મગજ પર હુમલો કરતા 'જાપાનીઝ એન્સેફાલાઇટિસ' વિશે જાણો બધું જ...

2026-07-25 13:45:00
Author: Darshana Visaria
Article Image

ચોમાસાની ઋતુ શરૂ થતાં જ વાતાવરણ આહલાદક બની જાય છે, પરંતુ તેની સાથે જ મચ્છરોથી થતી બીમારીઓનો ભય પણ ઝડપથી વધી જાય છે. મોટાભાગના લોકો મચ્છરથી થતા ડેન્ગ્યુ અને મલેરિયા વિશે જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો એ વાતથી વાકેફ છે કે કેટલાક મચ્છરો એવા વાયરસ પણ ફેલાવે છે જે સીધા મગજ પર હુમલો કરે છે. આવી જ એક ગંભીર અને જીવલેણ બીમારી છે 'જાપાનીઝ એન્સેફાલાઇટિસ'. આ બીમારી ડેન્ગ્યુ જેટલી સામાન્ય નથી, પરંતુ ગંભીર કિસ્સાઓમાં તે દર્દી માટે જીવલેણ સાબિત થઈ શકે છે અથવા તો આજીવન ન્યુરોલોજીકલ (મગજ સંબંધિત) સમસ્યાઓ આપી શકે છે.

શું છે જાપાનીઝ એન્સેફાલાઇટિસ અને કેવી રીતે ફેલાય છે?
આ બીમારી જાપાનીઝ એન્સેફાલાઇટિસ વાયરસથી થાય છે, જે 'ફ્લેવિવાયરસ' (Flavivirus) પરિવારનો સભ્ય છે. આ જ પરિવારનો વાયરસ ડેન્ગ્યુ અને વેસ્ટ નાઇલ માટે પણ જવાબદાર હોય છે.

આ વાયરસ સંક્રમિત 'ક્યુલેક્સ' (Culex) મચ્છરોના કરડવાથી ફેલાય છે અને આ મચ્છરો સામાન્ય રીતે ડાંગરના ખેતરો, તળાવો, કાદવ-કીચડવાળા વિસ્તારો અને વરસાદ પછી ભરાતા પાણીમાં પનપે છે. ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરોથી વિપરીત, ક્યુલેક્સ મચ્છર સાંજ ઢળ્યા પછીથી લઈને સવાર સુધી વધુ સક્રિય હોય છે.

વાયરસ મગજ સુધી કેવી રીતે પહોંચે છે?
ફોર્ટિસ હોસ્પિટલ મોહાલીના ન્યુરોલોજી નિષ્ણાત ડૉ. ઈશાંક ગોયલના જણાવ્યા મુજબ, સંક્રમિત મચ્છર કરડ્યા પછી વાયરસ પહેલા લોહીમાં પ્રવેશ કરે છે અને ત્યારબાદ 'બ્લડ-બ્રેન બેરિયર'ને પાર કરીને સીધો મગજ સુધી પહોંચી જાય છે. આ પછી મગજમાં સોજો આવી જાય છે, જેને તબીબી ભાષામાં એન્સેફાલાઇટિસ કહેવામાં આવે છે.

દર વર્ષે કેટલા કેસ સામે આવે છે?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) મુજબ, વિશ્વભરમાં દર વર્ષે જાપાનીઝ એન્સેફાલાઇટિસના આશરે 68,000 કેસ નોંધાય છે. દક્ષિણ-પૂર્વ એશિયા અને પશ્ચિમી પ્રશાંત ક્ષેત્ર આ બીમારીથી સૌથી વધુ પ્રભાવિત છે. ભારતમાં પણ દર વર્ષે તેના કેસો જોવા મળે છે. 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો, ડાંગરના ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને રસી ન મુકાવનાર પ્રવાસીઓમાં સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે.

શરૂઆતી લક્ષણો અને નિદાન:
બીમારીની શરૂઆત સામાન્ય વાયરલ ઇન્ફેક્શન જેવી જ લાગે છે.
તાવ, માથાનો દુખાવો, ઉલટી, થાક અને નબળાઈ.
સખત તાવ, માનસિક ભ્રમની સ્થિતિ, બેભાન થવું, ખેંચ-આંચકી (દૌરે) આવવી, ડોક અકડાઈ જવી, ચાલવામાં તકલીફ અને ભાન ગુમાવવું.
તપાસ માટે સીટી સ્કેનથી આ બીમારીનું હંમેશા નિદાન થતું નથી. જરૂર પડે ત્યારે MRI, લોહીની તપાસ અથવા કરોડરજ્જુના પ્રવાહી (Cerebrospinal Fluid - CSF) ની તપાસ દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવે છે.

શું છે આનો કોઈ ઇલાજ?
જાપાનીઝ એન્સેફાલાઇટિસની ચોક્કસ કોઈ દવા કે વિશિષ્ટ સારવાર ઉપલબ્ધ નથી. સારવાર દરમિયાન માત્ર દર્દીની સ્થિતિ સ્થિર રાખવાનો અને લક્ષણોને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેથી, મચ્છરોથી બચાવ અને સમયસર રસીકરણ જ આ બીમારી સામેનો સૌથી અસરકારક ઉપાય છે.