Sun Jul 26 2026

Logo

ભાડુઆતોની તરફેણમાં દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો, મકાન માલિક સિક્યોરિટી ડિપોઝિટમાંથી નહીં કાપી શકે બેફામ પૈસા

2026-07-02 12:52:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટના એક મહત્વપૂર્ણ ચુકાદાએ મકાનમાલિકોની મનમાની પર રોક લગાવીને ભાડૂઆતોને મોટી રાહત આપી છે. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે ભાડૂઆત દ્વારા જમા કરાવાયેલી સિક્યોરિટી ડિપોઝિટમાંથી દીવાલોનું કલરકામ (પુટ્ટી-કલર), સામાન્ય ઘસારો કે નાની-મોટી મરામતના નામે પૈસા કાપી શકાય નહીં. કોર્ટના જણાવ્યા અનુસાર, આ રકમમાંથી કપાત માત્ર ત્યારે જ કરી શકાય છે જ્યારે નુકસાન જાણીજોઈને કરવામાં આવ્યું હોય અથવા તે ખૂબ જ ગંભીર પ્રકારનું હોય.

કાયદા અનુસાર, ભાડૂઆત પાસેથી માત્ર એવા જ નુકસાનની ભરપાઈ લઈ શકાય છે જે સામાન્ય વપરાશ કરતાં વધુ હોય. મકાનમાલિકે એ પણ સાબિત કરવું પડશે કે નુકસાન વાસ્તવમાં ભાડૂઆતની ભૂલના કારણે થયું છે. સાથે જ મરામત (રિપેરિંગ) પાછળ થયેલો ખર્ચ વ્યાજબી અને જરૂરી હતો. પુરાવા વિના સિક્યોરિટી ડિપોઝિટમાંથી મનસ્વી રીતે કપાત કરી શકાય નહીં.

શું હતો કેસ?

તાજેતરમાં જ દિલ્હી હાઈકોર્ટે 'મેસર્સ રિટસ હેરિટેજ અને અન્ય વિરુદ્ધ સંગીતા ગુપ્તા'ના કેસમાં આ જ મુદ્દા પર એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે કઈ પરિસ્થિતિઓમાં મકાનમાલિક ભાડૂઆત પાસેથી મરામત (રિપેરિંગ) અને રિનોવેશનનો ખર્ચ વસૂલ કરી શકે છે. મકાનમાલિકે દાવો કર્યો હતો કે ગંભીર રીતે થયેલા નુકસાન બાદ તેમણે મકાનની મરામત પાછળ સાત લાખ રૂપિયા ખર્ચ્યા હતા. જેમાંથી ભાડે આપેલી બીજા અને ત્રીજા માળની મરામત પાછળ સાડા ચાર લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.

આ દાવા પર મકાનમાલિકોએ અદાલતમાં બિલ, રસીદો, ઇન્વોઇસ અને મકાન ખાલી થયા પછીના ફોટા પણ જોડ્યા હતા. તેમનું કહેવું હતું કે ભાડૂઆતના ગયા પછી મિલકતની મરામત (રિપેરિંગ) અને રિનોવેશન પાછળ લાખો રૂપિયા ખર્ચવા પડ્યા હતા. કોર્ટે પોતાના ચુકાદામાં એ પણ સ્વીકાર્યું કે જો ભાડૂઆતના કારણે મકાનને સામાન્ય કરતાં વધુ બહારનું કે અંદરનું નુકસાન થયું હોય, તો તેની ભરપાઈ ભાડૂઆત પાસેથી વસૂલ કરી શકાય છે.
 
અદાલતે તસવીરોની તપાસ દરમિયાન જોયું કે વીજળીના કેટલાક ફિટિંગ્સ હટાવવામાં આવ્યા હતા અને મિલકતને એવું નુકસાન પહોંચ્યું હતું જેને સામાન્ય વપરાશનો ભાગ માની શકાય નહીં. આવા નુકસાન માટે ભાડૂઆત જવાબદાર હોઈ શકે છે. અદાલતના આ ચુકાદાથી સ્પષ્ટ થઈ ગયું છે કે મકાન ખાલી કરતી વખતે મકાનમાલિક માત્ર પેઇન્ટિંગ, વ્હાઇટવોશ (કલરકામ) અથવા સામાન્ય જાળવણીના નામે સિક્યોરિટી ડિપોઝિટમાંથી મનસ્વી રીતે પૈસા કાપી શકે નહીં.

પરંતુ જો ભાડૂઆતે સામાન્ય વપરાશ કરતાં વધુ નુકસાન પહોંચાડ્યું હોય, તો તેની પાસેથી મરામત (રિપેરિંગ)નો ખર્ચ વસૂલ કરી શકાય છે. એટલે કે, ચુકાદો એ બાબત પર નિર્ભર કરશે કે નુકસાન માત્ર સામાન્ય ઘસારો (ટૂટ-ફૂટ) છે કે વાસ્તવમાં ભાડૂઆતની બેદરકારીના કારણે થયું છે.