Thu Sep 03 2026

Logo

કેરળમાં બે ઉત્સવમાં હાથી બેકાબૂ બનતા બે લોકોએ જીવ ગુમાવ્યા

2026-05-01 19:31:30
Author: Chandrakant Kanoja
કેરળમાં બે ઉત્સવમાં હાથી બેકાબૂ બનતા બે લોકોએ જીવ ગુમાવ્યા

તિરુઅનંતપૂરમ: કેરળમાં બે અલગ અલગ ઉત્સવમાં હાથી બેકાબૂ બનતા બે લોકોએ જીવ ગુમાવ્યા છે.  જેમાં  અંગમાલી અને ઇરિંજલકુડામાં મંદિર ઉત્સવો દરમિયાન બે હાથીઓ બેકાબૂ બન્યા હતા. તેમજ તેની બાદ અનેક લોકોને અડફેટે લઈને ચગદી નાખ્યા હતા. આ ઘટનામાં અનેક લોકોને ઇજા પણ થઇ છે. જોકે, વન વિભાગને લાંબા સમય બાદ અંગામલીમાં હાથીને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.

કિદાનગુર મહાવિષ્ણુ મંદિર પાસે એક હાથી બેકાબૂ થયો હતો 

આ અંગે મળતી માહિતી મુજબ અંગમાલીમાં કિદાનગુર મહાવિષ્ણુ મંદિર પાસે એક હાથી અચાનક બેકાબૂ થઈ ગયો. હાથીની ઓળખ મય્યાનદ પાર્થસારથી તરીકે થઈ છે. જેને મંદિરના ઉત્સવ માટે લાવવામાં આવ્યો હતો. આ ઉત્સવ દરમિયાન મંદિર પરિસરની નજીક હાથીને બાંધવામાં આવ્યો હતો ત્યારે તે અચાનક હિંસક બન્યો હતો. જેના લીધે  નાસભાગ મચી ગઈ અને લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા હતા.

ટ્રકના ડ્રાયવર વિષ્ણુએ પોતાનો જીવ ગુમાવ્યો

આ દુર્ઘટનામાં હાથીને લઇને જતી ટ્રકના ડ્રાયવર વિષ્ણુએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તે હાથીને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે હાથી તેને કચડી નાંખ્યો હતો.જેનું  ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે બીજો  મહાવત, પ્રદીપ  ઘાયલ થયો હતો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.  જ્યારે હાથીએ નજીકમાં પાર્ક કરેલા ઘણા વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું.

કૂડાલમાનિક્યમ મંદિરમાં પણ હાથીએ મહાવત પર  હુમલો કર્યો

આ ઉપરાંત  રિંજલકુડામાં શ્રી કૂડાલમાનિક્યમ મંદિરમાં પણ હાથીએ મહાવત પર  હુમલો કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર  હાથી એક દિવસ પહેલા જ હિંસક બની ગયો હતો અને તેને બાંધીને રાખવામાં આવ્યો હતો. જ્યારે આજે મહાવત તેને ખવડાવવા ગયો ત્યારે હાથીએ તેમના પર હુમલો કર્યો. આ હુમલામાં બીજા મહાવતે  જીવ ગુમાવ્યો  હતો. જ્યારે મુખ્ય મહાવત ઘાયલ થયો હતો. પોલીસે જણાવ્યું કે આ ઘટનાના સંદર્ભમાં નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે, અને મંદિર વ્યવસ્થાપન (દેવસ્વોમ) તરફથી કોઈ બેદરકારી હતી કે કેમ તે નક્કી કરવા માટે પણ તપાસ કરવામાં આવશે.