નવી દિલ્હી: દેશમાં કેરળ અને તમિલનાડુમાં પણ મતદાન પૂર્ણ થયું છે. જેમાં અલગ એજન્સીઓના એક્ઝિટ પોલ મુજબ કેરળમાં સત્તા પરિવર્તનના સંકેત મળી રહ્યા છે.જેમાં કોંગ્રેસની આગેવાનીમાં યુડીએફ ગઠબંધન સત્તામાં વાપસી કરે તેવું અનુમાન છે. જ્યારે તમિલનાડુમાં સત્તાધારી પક્ષ ડીએમકે સત્તા જાળવી રાખશે તેવી શક્યતા છે.
કોંગ્રેસના નેતૃત્વમાં યુડીએફને 70 થી 75 બેઠક મળવાનું અનુમાન
જેમાં વર્ષ 2026 ની કેરળ વિધાનસભા ચૂંટણી માટેના એક્ઝિટ પોલ રાજ્યમાં પરિવર્તનનો સંકેત આપે છે. એક્ઝિટ પોલના અંદાજો અનુસાર કોંગ્રેસના નેતૃત્વમાં યુડીએફ ગઠબંધન સત્તામાં પરત ફરે તેવું અનુમાન છે. જ્યારે સત્તાધારી લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ) ને નોંધપાત્ર નુકસાનનો સામનો કરવો પડી શકે તેમ છે. જેમાં યુડીએફને 41.7 ટકા મત સાથે 70 થી 75 બેઠકો મળે તેવી શકયતા છે. જ્યારે સત્તાધારી એલડીએફને 39. 5 ટકા શેર સાથે 60 થી 65 બેઠકો મળે તેવું અનુમાન છે. જયારે અન્ય પક્ષોને 19 ટકા મત સાથે 5 થી 9 બેઠકો મળી શકે તેમ છે.
ડીએમકેને 122 થી 132 બેઠકો મળવાનો અંદાજ
જ્યારે તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટેના એક્ઝિટ પોલમાં સત્તાધારી ડીએમકે ગઠબંધન માટે રાહતના સમાચાર છે. જેમાં તે બીજી વાર સત્તા પરત ફરી શકે તેવું અનુમાન છે. જેમાં ડીએમકે ગઠબંધનને 40.3 ટકા મત સાથે 122 થી 132 બેઠકો મળવાનો અંદાજ છે. જ્યારે AIADMK ગઠબંધનને 17. 5 ટકા મત સાથે 10 થી 12 બેઠકો મળી શકે છે. તેમજ ટીવીકે 17.5 ટકા મત સાથે 10 થી 12 બેઠક જીતે તેવી શક્યતા છે. જ્યારે અન્ય પક્ષો 5. 1 ટકા મત સાથે 6 જેટલી બેઠકો મેળવી તેવી સંભાવના છે.
આ માત્ર અનુમાન
ઉલ્લેખનીય છે કે, આ માત્ર અલગ અલગ એજન્સીઓના એક્ઝિટ પોલના અનુમાન છે અને અંતિમ પરિણામો ચૂંટણી પંચની સત્તાવાર મત ગણતરી પછી જ સ્પષ્ટ થશે.