Mon Jul 27 2026

Logo

કર્ણાટકમાં 30 મેએ શપથ ગ્રહણની સંભાવના, સિદ્ધારમૈયા આવતીકાલે આપશે રાજીનામું, 3 ડેપ્યુટી CM બની શકે

2026-05-27 16:03:06
Author: Mumbai Samachar Team
Article Image

બેંગલુરૂ: કર્ણાટકના રાજકારણ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કર્ણાટકમાં કોંગ્રેસ તરફથી 3 ડેપ્યુટી સીએમ (નાયબ મુખ્યમંત્રી) બનાવવામાં આવી શકે છે. આ 3 ડેપ્યુટી સીએમ અનુસૂચિત જાતિ (SC), અન્ય પછાત વર્ગ (OBC) અને મહિલા વર્ગમાંથી બનાવવામાં આવી શકે છે.

30 મેના રોજ શપથ ગ્રહણ, ડેપ્યુટી સીએમ પદની રેસમાં કોણ-કોણ સામેલ?

સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 30 મેના રોજ યોજાઈ શકે છે. કોંગ્રેસ પક્ષ તરફથી જે લોકો સંભવિત નાયબ મુખ્યમંત્રી (ડેપ્યુટી સીએમ)ની રેસમાં સામેલ છે, તેમાં દલિત ક્વોટામાંથી પરમેશ્વર/પ્રિયાંક ખડગે, અન્ય પછાત વર્ગ (OBC)માંથી યતીન્દ્ર, લિંગાયત સમુદાયમાંથી એમ.બી. પાટીલ/ઈશ્વર ખંડ્રે અને લઘુમતી (માઈનોરિટી) ક્વોટામાંથી કે.જે. જ્યોર્જ/યુ.ટી. ખાદર/ઝમીરના નામ સામેલ છે.

બુધવારે કર્ણાટક ગયા રણદીપ સુરજેવાલા

કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલા આજે કર્ણાટક ગયા છે. તેમને રાજ્યસભા અને એમએલસી (MLC) ચૂંટણીના ઉમેદવારો માટે ફરી એકવાર નવી યાદી તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. આ યાદીમાં તેમને જ્ઞાતિગત સમીકરણો (જાતીય સમીકરણ) ધ્યાનમાં રાખવા અને સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવા માટે કહેવાયું છે કે કયા નેતાઓને પદ આપવાથી શું ફાયદો કે નુકસાન થશે.

સુરજેવાલાને એવો નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ ફરીથી એક યાદી તૈયાર કરે અને તેને દિલ્હીમાં હાઈકમાન્ડને સોંપે. રણદીપે જે પહેલા યાદી બનાવી હતી તેનાથી હાઈકમાન્ડ સંતુષ્ટ નહોતું, આથી તેમને ફરીથી આખી નવી યાદી તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે.

સિદ્ધારમૈયા આપી શકે છે રાજીનામું

કર્ણાટકના રાજકારણમાં મોટો બદલાવ જોવા મળી શકે છે અને સિદ્ધારમૈયા આવતીકાલે રાજીનામું આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સિદ્ધારમૈયાને કોંગ્રેસ તરફથી પદ છોડવા  માટે કહેવામાં આવ્યું છે. સિદ્ધારમૈયાને કહેવાયું છે કે તેઓ કે.સી. વેણુગોપાલને જણાવી દે. આ સંજોગોમાં આવતીકાલે સિદ્ધારમૈયાનું રાજીનામું આવી શકે છે. મળતી માહિતી મુજબ, સિદ્ધારમૈયા રાજ્યસભામાં જવા માટે ઈચ્છુક નથી.