Wed Sep 16 2026

Logo

કંગના રણૌતના પ્રદર્શન કરનારાઓ પર પ્રહાર: પીએમ મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા વિશે અપશબ્દો બોલનારા આ કેવા વિદ્યાર્થીઓ?

2026-07-28 20:26:52
Author: Mumbai Samachar Team
કંગના રણૌતના પ્રદર્શન કરનારાઓ પર પ્રહાર: પીએમ મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા વિશે અપશબ્દો બોલનારા આ કેવા વિદ્યાર્થીઓ?

PTI


નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નાં સાંસદ કંગના રણૌતે દિલ્હીના જંતર-મંતર પર થયેલા તાજેતરના વિરોધ પ્રદર્શન અંગે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. કંગનાએ જણાવ્યું હતું કે, વિરોધ પ્રદર્શન દરમિયાન પીએમ મોદી અને તેમની સ્વર્ગસ્થ માતાને ગાળો દેવામાં આવી છે. વિદ્યાર્થીઓનું-યુવાનોનું આ વર્તન યોગ્ય નથી. NEET પેપર લીક સામે દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનનો અંત આવ્યો છે. સરકારે પ્રદર્શનકારીઓની બધી માંગણીઓ સ્વીકારી લીધી છે અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. વિરોધ પ્રદર્શન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી પણ ચર્ચાનો વિષય બની હતી. 

ચોમાસુ સત્રમાં મુદ્દો ગાજ્યો
આ મુદ્દો હવે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન પણ ઉઠાવવામાં આવ્યો છે. ભાજપ સાંસદ કંગના રનૌતે પીએમ મોદી વિરુદ્ધ કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીઓની નિંદા કરી છે અને પ્રશ્ન કર્યો છે કે તેઓ કેવા પ્રકારના વિદ્યાર્થીઓ છે.ભાજપ સાંસદ કંગના રનૌતે કહ્યું કે આપણા 75 વર્ષીય વડા પ્રધાનને નિશાન બનાવવામાં આવ્યા હતા, તેમની સ્વર્ગસ્થ માતા પર અત્યંત ઘૃણાસ્પદ અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

તો શું કોર્ટ ખર્ચ કોણ ઊઠાવશે? 
અમે પણ વિદ્યાર્થી આંદોલનોમાં ભાગ લીધો છે. આ કેવા પ્રકારના વિદ્યાર્થીઓ છે અને તેઓ કેવા પ્રકારની અશ્લીલ ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે? શું તેઓ વિદ્યાર્થીઓ જેવા દેખાય છે? જો ભવિષ્યમાં આ વ્યક્તિઓને સુપ્રીમ કોર્ટના વકીલો અથવા કાનૂની સલાહકારની જરૂર પડે, તો શું તેમના માતાપિતા ખર્ચ ઉઠાવી શકશે? તેમની પાસે આવા ખર્ચાઓ જાતે ઉઠાવવા માટે પૈસા નથી. અમે સોળ વર્ષની ઉંમરે અમારી કારકિર્દી બનાવવાનું શરૂ કર્યું. અમે ક્યારેય અમારા માતાપિતા પર બોજ બન્યા નહીં. એક સમાજ તરીકે, આ અમારા માટે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.

યુદ્ધના ધોરણે સરકારે બિલ મૂક્યું
તાજેતરમાં કેન્દ્ર સરકારે પેપર લીકનો સામનો કરવા માટે જાહેર પરીક્ષાઓ સુધારા બિલ, 2026 રજૂ કર્યું. બિલ પર ટિપ્પણી કરતા, ભાજપના સાંસદ કંગના રનૌતે કહ્યું, આપણા વડા પ્રધાને રાષ્ટ્ર અને તેના લોકોના હિતમાં નાના કે મોટા દરેક મુદ્દાને સંબોધવાના તેમના સંકલ્પ દ્વારા વિશ્વ સમક્ષ એક અનુકરણીય મિસાલ સ્થાપિત કરી છે.સરકારે આ બાબતની તપાસ કરવા અને પરીક્ષા પ્રણાલીને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરી છે. આ સુધારા બિલ રજૂ કરવાથી વડા પ્રધાનની પ્રતિબદ્ધતા પ્રતિબિંબિત થાય છે. યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન, શિક્ષણ બજેટ ખૂબ ઓછું હતું. આજે, વિપક્ષની ટીકા ફક્ત તેમની હતાશાને પ્રતિબિંબિત કરે છે.