નવી દિલ્હીઃ દિલ્હીમાં આવેલી જવાહર લાલ નહેરુ યુનિવર્સિટીમાં ફરી હિંસા ભડકી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. UGCના નિયમોને લઈને યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું. આ પ્રદર્શનકારીઓએ શિક્ષણ મંત્રાલય પર કૂચ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેથી પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે બેરિકેડ રાખીને વિદ્યાર્થીઓને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. છતાં પણ પ્રદર્શનકારી કાબૂમાં ના રહેતા પોલીસે બળનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન 25 થી પણ વધારે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ મળ્યાં છે.
પોલીસે 50 જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરી
કાર્યવાહીની વાત કરવામાં આવે તો, પોલીસે 50 જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરી છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ મામલે દિલ્હી પોલીસે એફઆઈઆર પણ દાખલ કરી દીધી છે. વસંત કુંજ નોર્થ પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થીઓ સાથે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ વિદ્યાર્થીઓ પર સરકારી કર્મચારીઓને કામ કરતા રોકવા, પોલીસ પર હુમલો કરવો અને ઈજા પહોંચાડવી, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવું જેવી કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
હુમલામાં કોણ ઘાયલ થયું?
પ્રદર્શનકારીઓએ પોલીસ પર હુમલો કર્યો તેમાં એસીપી વંસત કુંજ, એસીબી સીએડબ સંઘમિત્રા, SHO સરોજિની નગર ઇન્સ્પેક્ટર અતુલ ત્યાગી, SHO કિશનગઢ ઇન્સ્પેક્ટર અજય યાદવ ઘાયલ થયાં છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે પ્રદર્શનકારીઓએ જેએનયૂના કુલપતિના રાજીનામાની માંગણી કરી છે. આરોપ એવો છે કે, કુલપતિએ દલિતો સામે જાતિવાદી ટિપ્પણી કરી હતી.
યુનિવર્સિટી કેમ્પસમાં 500 જેટલા વિદ્યાર્થીઓ એકઠા થયાં
આ સમગ્ર મામલે દિલ્હી પોલીસનું કહેવું છે કે, યુનિવર્સિટી કેમ્પસમાં 500 જેટલા વિદ્યાર્થીઓ એકઠા થયાં અને શિક્ષણ મંત્રાલય સુધી કૂચ કરવાની જાહેરાત કરી હતી. આ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે શિક્ષણ મંત્રાલય સુધી પહોંચ્યાં હતાં. પરંતુ તેમને કેમ્પસમાં જવાના રજા આપવામાં આવી નહોતી. જેના કારણે માહોલ બગડ્યો હતો. આ દરમિયાન પોલીસે બળનો ઉપયોગ કર્યો હાવોનો વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો.