આતંકવાદ સામેની કાર્યવાહીમાં જમ્મુ અને કાશ્મીર પોલીસે મોટી સફળતા મળી છે, પોલીસે લશ્કર-એ-તૈયબા(LeT)ના એક આંતરરાજ્ય આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. પોલીસે શ્રીનગરમાંથી પાંચ શખ્સોની ધરપકડ કરી છે જેમાં 16 વર્ષથી ફરાર અબ્દુલ્લા ઉર્ફે અબુ હુરૈરાનો સમાવેશ થાય છે.
અહેવાલ મુજબ કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને જમ્મુ અને કાશ્મીર પોલીસે જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન અને હરિયાણા સહિત 19 સ્થળોએ દરોડા પાડ્યા હતા. તાપસ અભિયાન દરમિયાન ગુનાહિત સામગ્રી મળી આવી છે. તપાસમાં દરમિયાન ભંડોળ મેળવવા લશ્કર-એ-તૈયબાના નેટવર્કનો પર્દાફાશ થયો.
અધિકારીઓએ વિગતો આપતા કહ્યું કે પાંચ શંકસ્પદોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી ત્રણ શ્રીનગરના રહેવાસી છે.
અહેવાલ મુજબ અબ્દુલ્લા ઉર્ફે અબુ હુરૈરા જમ્મુ અને કાશ્મીરની બહાર લશ્કર-એ-તૈયબાના જૂથ ઉભા કરવા માટે મહત્વની ભૂમિકા ભજવતો હતો. અબ્દુલ્લા ઉપરાંત અન્ય એક પાકિસ્તાની આતંકવાદી ઉસ્માન ઉર્ફે ખુબૈબની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આ આતંકવાદીઓ આશરે 16 વર્ષ પહેલાં ભારતમાં ઘુસ્યા હતાં, કાશ્મીરનાં જિલ્લાઓમાં સક્રિય હતાં. આ શખ્સો 40 વિદેશી આતંકવાદીઓના જૂથની આગેવાની કરતા હતાં, જેમાંથી મોટાભાગના આતંકવાદીઓને ભારતન સુરક્ષા દળો ઠાર કર્યા છે.
અહેવાલ મુજબ આ આતંકવાદીઓને આશ્રય અને ખોરાક સહિત લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડવા બદલ મોહમ્મદ નકીબ ભટ, આદિલ રશીદ ભટ અને ગુલામ મોહમ્મદ મીર ઉર્ફે મામાની ધરપકડ કરવામાં આવી છે.