મિડલ ઇસ્ટમાં સતત વધી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાને એક મોટો દાવો કર્યો છે. જેમાં ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરી અલી લારીજાનીએ જણાવ્યું છે કે જેફરી એપસ્ટેઈનના નેટવર્ક સાથે જોડાયેલા કેટલાક લોકો ઈરાન પર દોષનો ટોપલો ઢોળવા 9/11 જેવા આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચી રહ્યા છે.
ઈરાન અમેરિકન લોકો પ્રત્યે કોઈ દુશ્મનાવટ નથી રાખતું
લારીજાનીએ એક્સ પર એક પોસ્ટમાં, એ જણાવ્યું હતું કે તેમને માહિતી મળી છે કે એપસ્ટેઈન નેટવર્કના બચી ગયેલા સભ્યો 9/11 જેવું ષડયંત્ર રચી રહ્યા છે અને તેની માટે ઈરાનને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરી શકાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાન આવા કોઈપણ આતંકવાદી કાવતરાની સખત નિંદા કરે છે અને અમેરિકન લોકો પ્રત્યે કોઈ દુશ્મનાવટ નથી રાખતું .
ઇઝરાયલ સતત ઈરાન પર હુમલા કરી રહ્યું છે
ઈરાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જયારે અમેરિકા અને ઇઝરાયલ સતત ઈરાન પર હુમલા કરી રહ્યું છે. તેમજ તેનો બદલો લેવા ઈરાન ઇઝરાયલ સહિત આસપાસના દેશોમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે. તેમજ ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહના સ્થળોને પણ નિશાન બનાવ્યા છે.
Iran's Ali Larijani
9/11 ના હુમલામાં 3000 લોકોએ જીવ ગુમાવ્યા
ઉલ્લેખનીય છે કે, 11 સપ્ટેમ્બર, 2001 ના રોજ અમેરિકામાં થયેલા આતંકવાદી હુમલાઓને આધુનિક ઇતિહાસના સૌથી ભયાનક હુમલાઓમાંનો એક માનવામાં આવે છે. જેમાં અલ-કાયદા સાથે જોડાયેલા 19 આતંકવાદીઓએ ચાર પેસેન્જર વિમાનોનું અપહરણ કર્યું હતું. આમાંથી બે વિમાનો ન્યૂ યોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વીન ટાવર્સ સાથે અથડાયા હતા, જેના કારણે બંને ટાવર થોડા જ કલાકોમાં તૂટી પડ્યા હતા. એક વિમાન વર્જિનિયામાં પેન્ટાગોન પર અથડાયું હતું, જ્યારે ચોથું વિમાન પેન્સિલવેનિયામાં ક્રેશ થયું હતું. આ હુમલાઓમાં આશરે 3000 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
યુદ્ધ વચ્ચે આવા આરોપો તણાવને વધારી શકે છે
જોકે, ઈરાનના આ દાવા અંગે અમેરિકા કે અન્ય પશ્ચિમી દેશો તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. જોકે, નિષ્ણાતો માને છે કે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આવા આરોપો તણાવને વધારી શકે છે.