તહેરાનઃ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA)ના મુખ્ય રાફેએલ ગ્રોસીએ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા સૈન્ય તણાવ વચ્ચે ગંભીર ચેતવણી જારી કરી છે. તેમણે ઈરાનના પરમાણુ વિભાગીય અધિકારીઓ સાથે સંપર્ક સાધવાના પ્રયાસો કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. પરંતુ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. ગ્રોસીએ બધા પક્ષોને અત્યંત સંયમ રાખવા માટે પણ અપીલ કરી છે, કારણ કે પરમાણુ સુવિધાઓ પર હુમલાથી વિશાળ વિસ્તારે રેડિયેશન ફેલાઈ શકે છે. જેથી મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે.
રેડિયેશન લીક થવાની ઊભી થઈ મોટી શંકા
IAEA મુજબ આ હુમલાઓથી રેડિયેશન લીક થવાથી ઘણા શહેરો ખાલી કરવા પડે તેવી શક્યતા છે. હાલમાં બોર્ડર વિસ્તારોમાં રેડિયેશન લેવલ સામાન્ય છે, પરંતુ સ્થિતિનું નજીકથી મોનિટરિંગ ચાલુ છે. પરમાણુ સુવિધાઓ પર હુમલો ક્યારેય નથી થવો જોઈએ, કારણ કે તે માનવજીવન અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી દ્વારા ઈરાનના પરમાણુ વિભાગીય અધિકારીઓ સાથે વાત કરવાનો સતત પ્રયત્ન કરવામામાં આવી રહ્યો છે.
ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગ્રોસીના મતે આ સંદેશાવ્યવહાર ચેનલ મહત્વપૂર્ણ છે. તેઓ પરિસ્થિતિની ગંભીરતાને સમજવા અને પરમાણુ સુરક્ષા બાબતો પર નજર રાખવા માટે શક્ય તેટલી વહેલી તકે આ ચેનલને ફરીથી સ્થાપિત કરવાની આશા રાખે છે.
ઈરાનમાં કયા પરમાણુ સુવિધા પર હુમલો કરવામાં આવ્યો?
આવી સ્થિતિમાં ઈરાને દાવો કર્યો છે કે, IAEAમાં ઈરાનના રાજદૂતે કહ્યું કે, અમેરિકા અને ઈઝરાયલે રવિવારે ઈરાની પરમાણુ સુવિધા પર હુમલો કર્યો હતો. IAEA ના ડિરેક્ટર જનરલ રાફેલ ગ્રોસીએ એજન્સીના 35-સભ્યોના બોર્ડ ઓફ ગવર્નર્સને જણાવ્યું કે એજન્સી પાસે કોઈ સંકેત નથી કે કોઈપણ પરમાણુ સ્થાપનને નુકસાન થયું હોય અથવા હુમલો થયો હોય! ઈરાનના રાજદૂતને જ્યારે પૂછવામાં આવ્યું કે ઈરાનમાં કઈ પરમાણુ સુવિધાઓ પર હુમલો કરવામાં આવ્યો છે, ત્યારે તેમણે કહ્યું કે ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સે નાતાન્ઝ પરમાણુ સુવિધા પર હુમલો કર્યો હતો.