Sun May 24 2026

Logo

ઇન્ડિગો મામલે કેન્દ્ર સરકારે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા, કંટ્રોલ રૂમ શરૂ કરાયો

2025-12-05 18:11:47
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : દેશભરમાં છેલ્લા ત્રણ દિવસથી ઇન્ડિગો એરલાઇન્સની ઓપરેશનલ ખામીઓથી મુસાફરો પરેશાની સામનો કરી રહ્યા છે. તેમજ આજે દેશભરના 1000થી વધારે ફલાઇટ કેન્સલ કરવામાં આવી છે. જેના લીધે મુસાફરોની મુશ્કેલી વધી છે. તેમજ આ સ્થિતીને ગંભીરતાથી લેતા સરકારે તપાસના આદેશ આપ્યા છે. તેમજ તેની માટે એક કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. 

આ ઉપરાંત કેન્દ્ર સરકારે ઇન્ડિગોને નવી ફ્લાઇટ ડ્યુટી સમય મર્યાદાઓમાંથી રાહત આપી છે. સરકારે જણાવ્યું હતું કે આ નિર્ણય હવાઈ સલામતી સાથે સમાધાન કર્યા વિના ફક્ત મુસાફરોના હિતમાં લેવામાં આવ્યો છે. 

તપાસ બાદ યોગ્ય પગલાં લેવામાં આવશે

આ અંગે ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત સરકારે ઇન્ડિગોની સેવાઓમાં ગડબડી અંગે ઉચ્ચ સ્તરીય તપાસ કરવાનો નિર્ણય લીધો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે તપાસમાં ઇન્ડિગો તરફથી શું  ગડબડી થઈ તેની તપાસ કરવામાં આવશે. તેમજ તપાસ બાદ  યોગ્ય પગલાં લેવામાં આવશે અને ભવિષ્યમાં આવી સમસ્યાને રોકવા માટે પગલાંની ભલામણ કરવામાં આવશે જેથી મુસાફરોને ફરીથી આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.

એરપોર્ટ પર સામાન્ય કામગીરીને ઝડપી બનાવવાનો ઉદેશ 

આ ઉપરાંત નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઇન્ડિગોની  ફ્લાઇટ સેવામાં ઓપરેશનલ ઇસ્યુના નિરીક્ષણ માટે 24x7 કંટ્રોલ સ્થાપિત કર્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ કંટ્રોલ રૂમ અસરકારક સંકલન અને ઉદ્ભવતા કોઈપણ મુદ્દાઓનું તાત્કાલિક નિરાકરણ સુનિશ્ચિત કરશે. આનો ઉદ્દેશ્ય મુસાફરોની અસુવિધા ઘટાડવાનો અને અસરગ્રસ્ત એરપોર્ટ પર સામાન્ય કામગીરીને ઝડપી બનાવવાનો છે.