Sun May 24 2026

Logo

ઈન્ડિગો સંકટ DGCAએ પાઇલટની અછતને લઈ ફ્લાઈટ્સ ઓપરેટ કરવાનો આપ્યો આદેશ

2025-12-05 21:55:22
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: દેશમાં સૌથી મોટી એરલાઈન ઈન્ડિગો અત્યારે સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યું છે ત્યારે આજે ડીજીસીએએ વીકલી રેસ્ટ સંબંધિત નિયમ પરત લીધો હતો, પરંતુ હવે એની સાથે એવિયેશન રેગ્યુલેટર (ડીજીસીએ)એ વધુ એક નવો નિર્ણય લીધો છે. ડીજીસીએ પોતાના ઈન્સ્પેક્ટરને ઈન્ડિગોની ફ્લાઈટ્સ ઓપરેટ કરવાનો પણ ઓર્ડર આપ્યો છે, તેનાથી એરલાઈનને કદાચ રાહત થઈ શકે છે.

DGCAએ પાઇલટને આપ્યો આદેશ

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઇન્ડિગોમાં પાઇલટની અછતને કારણે ફ્લાઇટ સંચાલનની સમસ્યા ઊભી થઈ છે, તેથી DGCAએ પોતાના ઈન્સ્પેક્ટરને ઇન્ડિગોની ફ્લાઇટનું સંચાલન કરવાનો આદેશ આપ્યો છે. જોકે, DGCAમાં કોન્ટ્રાક્ટ રાખેલા પાઇલટ પાંચ વર્ષ સુધી નિરીક્ષણ અને ઓડિટનું કામ કરે છે. તેમને આ આદેશ આપવામાં આવ્યો છે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)ના ડિરેક્ટર ફૈઝ અહમદ કિડવાઈએ જણાવ્યું કે, ઇન્ડિગોની ફ્લાઇટમાં મોટાપાયે સર્જાયેલી અવ્યવસ્થા વચ્ચે ફ્લાઇટના સુચારુ સંચાલન માટે દરેક પાઇલટને સહકાર આપવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. સંચાલન સમસ્યાઓને કારણે ઇન્ડિગોની વર્તમાન સમસ્યાઓ, પ્રતિકૂળ હવામાન અને વધતી માંગના કારણે એરલાઇન ક્ષેત્ર હાલ દબાણ અનુભવી રહ્યું છે, જેથી યાત્રીઓને હાલાકી પડી રહી છે અને વિમાનના મેનેજમેન્ટ પર દબાણ વધ્યું છે.     

કિડવાઈએ આગળ જણાવ્યું કે, શિયાળાની ઋતુ, વેકેશન અને લગ્નગાળાને ધ્યાનમાં લેતા એ જરૂરી છે કે, મોટા ઓપરેશનલ પડકારો માટે તૈયાર રહેવું જોઈએ. યાત્રીઓની સંખ્યામાં ઝડપી વધારો થવાની આશા છે. હવામાન સંબંધિત અસરો પણ ફ્લાઇટના સમય નિર્ધારણ અને તેની સુરક્ષાને વધારે જટિલ બનાવી શકે છે. આવા સમયે એરલાઇન્સ કંપનીઓ અને પાઇલટ વચ્ચે મજબૂત કો-ઓર્ડિનેશન હોવું જરૂરી છે. 

આવતીકાલ સુધીમાં પરિસ્થિતિ સુધરશે

ઇન્ડિગોએ આજે પોતાની સૌથી વધુ ફ્લાઇટ રદ્દ થવાની શક્યતા વ્યક્ત કરી હતી. મેનેજમેન્ટ દ્વારા એરપોર્ટ પર ભીડ ઓછી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કંપની પોતાની વ્યવસ્થાઓ અને શેડ્યુલને નવેસરથી તૈયાર કરવા જેવા જરૂરી પગલાં ભરી રહી છે, જેથી શનિવાર સુધીમાં પરિસ્થિતિ સુધરી શકે. ઇન્ડિગોએ પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું કે, સંચાલનને સરળ બનાવવા અને એરપોર્ટ પર ભીડ ઓછી કરવા માટે થોડો સમય માટે વધારે સંખ્યામાં ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી રહી છે. આવતીકાલથી અમે વધુ સારી રીતે શરૂઆત કરીશું. 

અહીં એ જણાવવાનું કે ઈન્ડિગો દિલ્હી, મુંબઈ અને બેંગલુરુમાં ડોમેસ્ટિક ક્ષેત્રની ફ્લાઈટ્સને રોકી છે, જ્યારે રોજની 2,300થી વધુ ફ્લાઈટ્સ સંચાલન કરે છે. ઈન્ડિગોને 2,422 પાઈલટની જરુરિયાત હતી, પરંતુ એની પાસે ફક્ત 2,357 કેપ્ટન હતા. પાઈલટની સંખ્યા વધારવાનું સરળ નથી, કારણ અનેક મહિના સુધી તાલીમ લેવી પડે છે, તેથી એરલાઈને ઓપરેશનને સરળ કરવા માટે દસ ફેબ્રુઆરી સુધીનો સમય માગ્યો હતો.