Fri May 01 2026

Logo

ઇન્ડિગો એરલાઈન્સમાં ગંભીર ઓપરેશનલ કટોકટી એક મહિનામાં 1,232 ફ્લાઇટ્સ રદ કરવી પડી

2025-12-03 22:30:35
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી:  ભારતની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગો ઓપરેશનલ કટોકટીનો સામનો કરી રહી છે. ઇન્ડિગો રોજથી 2100 થી વધારે ફ્લાઈટ ઓપરેટ કરે છે. ત્યારે ડીજીસીએ જાહેર કરેલા આંકડા મુજ્બ ઇન્ડિગોએ એક મહિનામાં 1,232 ફ્લાઇટ્સ રદ કરવી પડી છે. જે એરલાઈન  કંપનીની વિશ્વસનીયતા અને સમયપાલન પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. 

એરલાઇનના સમયસર કામગીરી પર સીધી અસર

આ ઉપરાંત અન્ય ફલાઈટ એરપોર્ટ/એરસ્પેસ પ્રતિબંધો (258), ATC સિસ્ટમ નિષ્ફળતા (92) અને અન્ય કારણો (127) ને કારણે રદ કરવામાં આવી હતી. આ કટોકટીએ એરલાઇનના સમયસર કામગીરી પર સીધી અસર કરી છે. ઓપરેશન ટ્રાફિક પરફોર્મન્સ( ઓટીપી)  જે ઓક્ટોબરમાં 84.1 ટકા  થી ઘટીને નવેમ્બરમાં માત્ર 67.70 ટકા થઈ ગઈ છે. ફ્લાઇટ વિલંબના મુખ્ય કારણોમાં ATC (16 ટકા), ક્રૂ/ઓપરેશન (6 ટકા ) અને એરપોર્ટ સંબંધિત સમસ્યાઓ (3 ટકા ) શામેલ છે.

ડીજીસીએ એરલાઈનને તાત્કાલિક રિપોર્ટ કરવા જણાવ્યું

જેના લીધે ડીજીસીએ એરલાઈનને તાત્કાલિક રિપોર્ટ કરવા જણાવ્યું છે. જેમાં ફ્લાઈટ રદ અને વિલંબના કારણો વર્ણવવા પણ નોંધવાનું કહેવામાં આવ્યું છે. તેમજ ઇન્ડિગો એરલાઈન્સમાં મુસાફરી કરતા યાત્રીઓને ફ્લાઈટ ઉપડતા પૂર્વે સ્થિતી ઓનલાઈન તપાસવા સલાહ આપવામાં આવી છે. 

ફ્લાઇટ ડ્યુટી સમય મર્યાદાના નવા નિયમો બાદ મુશ્કેલી 

ઇન્ડિગો દરરોજ આશરે 2,100 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. જેમાંથી મોટાભાગની રાત્રિ ફ્લાઇટ્સ છે. ફ્લાઇટ રદના આ સંકટથી ઇન્ડિગોના સંચાલન પર ગંભીર અસર પડી છે.  એવિએશન સુત્રોના જણાવ્યા અનુસાર ફ્લાઇટ ડ્યુટી સમય મર્યાદાના (FDTL)નવા નિયમોના બીજા તબક્કાના અમલીકરણ પછી આ પરિસ્થિતિ ઊભી થઈ હતી. સુત્રોએ જણાવ્યું હતું કે  FDTL નિયમોના બીજા તબક્કાના અમલીકરણ બાદ ઇન્ડિગો ક્રૂની તીવ્ર અછતનો સામનો કરી રહી છે, જેના કારણે મોટી સંખ્યામાં ફ્લાઇટ રદ અને વિલંબ થયો છે.