નવી દિલ્હી: યુએસ અને ઈઝરાયલે શનિવારે ઈરાન પર હુમલો કરીને પશ્ચિમ એશિયામાં વધુ એક યુદ્ધ છેડ્યું છે, ઈરાને પણ વળતો હુમલો કરતા સ્થિતિ નાજુક બની છે, તણાવ સતત વધી રહ્યો છે. ગાલ્ફના દેશોમાં રહેતા ભારતીયોમાં ગભરાટનો માહોલ છે, એવામાં ભારત સરકાર યુદ્ધગ્રસ્ત દેશોમાંથી ભારતીયોને વતન લાવવા કાર્યવાહી કરી રહી છે. અહેવાલ મુજબ યુદ્ધ શરુ થયા બાદ 10,000 ભારતીયો વતન પાછા ફર્યા છે.
કયા દેશમાંથી કેટલા લોકો આવ્યા:
અહેવાલ મુજબ ઈરાનથી અંદાજે 3,000 ભારતીયોને સ્પેશિયલ ફ્લાઈટ્સ મારફતે ભારત પરત લાવવામાં આવ્યા છે. અહેવાલ મુજબ કુવૈતથી લગભગ 2,500 ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે, ઈઝરાયલે પાડોશી દેશ લેબનોન પર પણ હુમલો શરુ કર્યો છે, લેબનોનની રાજધાની બેરુતથી 1,500 થી વધુ ભારતીયો પરત ફરી રહ્યા છે, જ્યારે યુએઈ અને કતારથી લગભગ 3,000 ભારતીયો ભારત પરત ફર્યા છે.
ભારત સરકારની મદદથી મોટાભાગના ભારતીયોને ચાર્ટર્ડ ફ્લાઇટ્સ દ્વારા મુંબઈ અને દિલ્હી લાવવામાં આવી રહ્યા છે. ગલ્ફના દેશોમાંથી પરત ફરતા લોકો માટે કેરળના કોચી અને કોઝિકોડ, અમૃતસર અને ઉત્તર પ્રદેશના લખનઉમાં પણ ખાસ કેન્દ્રો શરુ કરવામાં આવ્યા છે.
ભારતના વિદેશ મંત્રાલયે ઈરાન અને લેબનોન માટે "રેડ એલર્ટ" જાહેર કર્યું છે, અને ભારતીયોને આ દેશોમાં મુસાફરી ન કરવાની સલાહ આપી છે.
પશ્ચિમ એશિયામાં યુદ્ધ શરુ થયા બાદ દુબઈથી એર ઈન્ડિયાની પહેલી ફ્લાઇટ આજે મંગળવારે દિલ્હી પહોંચી હતી, આ ફ્લાઇટમાં કુલ 149 લોકો ભારત પહોંચ્યા હતાં. જોકે, આજે ભારતથી દુબઈ જતી કેટલીક ફ્લાઇટ્સને ભારત પરત ફરવું પડ્યું હતું.