નવી દિલ્હીઃ ગત જુલાઈ મહિનામાં દેશની નિકાસ 19.63 ટકાના ઉછાળા સાથે 44.24 અબજ ડૉલરની સપાટીએ રહી હતી અને આયાત 17.52 ટકા વધીને 76.22 અબજ ડૉલરની સપાટીએ રહી હોવા છતાં વેપાર ખાધ વધીને 31.98 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું વાણિજ્ય મંત્રાલયે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી જુલાઈ દરમિયાન દેશની નિકાસ 17.04 ટકા વધીને 173.78 અબજ ડૉલરના સ્તરે અને આયાત 19.27 ટકા વધીને 292.38 અબજ ડૉલરની સપાટીએ રહી હતી.
અત્રે આયાત-નિકાસના આંકડાઓની રજૂઆત કરતાં વાણિજ્ય સચિવ રાજેશ અગરવાલે પત્રકાર વર્તુળોને જણાવ્યું હતું કે ગત જુલાઈ મહિનામાં પશ્ચિમ એશિયન દેશોમાં ભારતની નિકાસ 8.62 ટકા વધીને 5.7 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું જણાવતા નિકાસમાં ગત જુલામાં જોવા મળેલી વૃદ્ધિ મુખ્યત્વે પેટ્રોલિયમ ઉત્પાદનો, ઈલેક્ટ્રોનિક્સ, એન્જિનિયરિંગ અને દરિયાઈ ઉત્પાદનોની નિકાસમાં જોવા મળેલી વૃદ્ધિને આભારી હોવાનું તેમણે ઉમેર્યું હતું.