નવી દિલ્હી: હાલ ઇન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ ચાલી રહી છે, જેમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ(AI)ના ભવિષ્ય વિષે ચર્ચા કરવામાં આવી રહી છે. આ દરમિયાન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF)ના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ AIને કારણે ભવિષ્યમાં નોકરીઓમાં મોટો ઘટાડો થવાની ચેતવણી વ્યક્ત કરી છે.
ભારતની એક ન્યુઝ ચેનલ સાથેના ઈન્ટરવ્યું દરમિયાન ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ જણાવ્યું કે AI-આધારિત ટેકનોલોજીના કારણે વૈશ્વિક ધોરણે અંદાજે 40 ટકા વર્કફોર્સને અસર થઇ શકે છે, ખાસ કરીને એન્ટ્રી-લેવલ નોકરીઓ અસર થશે. તેમને કહ્યું કે શ્રમ બજારોમાં કે મોટી સુનામી આવવા જઈ રહી છે.
ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ IMF દ્વારા સમર્થિત એક સ્ટડી રીપોર્ટનો ઉલ્લેખ કરતા કહ્યું કે AIને કારણે વિકસિત અર્થતંત્રોમાં આ સંખ્યા 60 ટકા નોકરીઓને અસર પડી શકે છે, પરંતુ ભારતમાં 26 ટકા જેટલી નોકરીઓને અસર થશે.
ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ સલાહ આપી કે AI ઇકોનોમિ માટે લોકોને તૈયાર કરવા માટે પોલિસીઓ બનાવવી ખુબજ મહત્વની છે.
ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ કહ્યું, "એવા પુરાવા છે કે નોકરીઓ ગુમાવવાનું શરુ થઇ ગયું છે, ખાસ કરીને એન્ટ્રી-લેવલની નોકરીઓ છે. આ સામાન્ય રીતે એવા કામો જે સરળતાથી ઓટોમેટેડ થઇ શકે છે, એવી નોકરીઓને અસર થશે. પહેલી નોકરી શોધી રહેલા યુવાન સ્નાતકો મુશ્કેલીમાં મુકાશે."
ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ કહ્યું, "... અમે નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે આપણે AI પરિવર્તનની ઉભી થઇ રહેલી માંગ પૂરી કરી શક્યા નથી, હાલ જે સ્થિતિ છે તેના માટે લોકોને તૈયાર કરવા માટે યોગ્ય નીતિઓ બની શકી નથી."