ગાંધીનગરઃ રાજ્યમાં ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી આસપાસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની શક્યતા છે. ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધનથી વિધાનસભા ખંડિત થઈ હતી. આ સીટ પર 23 એપ્રિલે મતદાન યોજાશે. રાજ્ય ચૂંટણી પંચે શહેરી સંસ્થાઓને મતદાર યાદી તૈયાર કરવા 23 માર્ચ અને પંચાયતી રાજની સંસ્થાઓ માટે 30 માર્ચ સુધીનો સમય આપ્યો છે. જેના પરથી રાજ્યમાં એપ્રિલના ત્રીજા સપ્તાહમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ શકે તેવી અટકળો છે.
રાજ્ય ચૂંટણી પંચે 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતમાં મતદાર મંડળોની રચના કરી સીમાંકનો રચ્યા છે. તે પ્રમાણે જ મતદાર મંડળોની હદ રહે તે ઉદ્દેશથી અદ્યતન મતદાર મંડળોની મતદાર યાદી તૈયાર કરવા આદેશ કર્યા છે. જેમાં 23 માર્ચે જિલ્લા તાલુકા પંચાયત મુજબ મતદાર મંડળોની યાદીને પ્રાથમિક પ્રસિદ્ધિ કરીને 30 માર્ચ સુધીમાં અરજી ચકાસણી કરીને નિર્ણય કરવાની તારીખ નક્કી કરાઈ છે. આ પરથી પંચાયતી રાજની સંસ્થાઓ માટે 30 માર્ચ પછી એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે તા.30મી માર્ચ, 2026 ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે, તા.6 એપ્રિલ, સુધીમાં ઉમેદવારી પત્રક ભરી શકાશે, તા.7 એપ્રિલે ઉમેદવારી પત્રકોની ચકાસણી થશે, તા.9 એપ્રિલે સુધીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે, તા.23મી એપ્રિલે મતદાન યોજાશે અને 4થી મેના રોજ પરિણામની જાહેરાત કરવામાં આવશે.