Tue May 19 2026

Logo

ગુજરાત સરકારે પરિપત્ર જાહેર કરીને સરકારી કચેરીઓને ઈંધણ બચાવવા નિર્દેશ આપ્યા

2026-05-19 22:34:00
Author: Chandrakant Kanoja
Article Image

ગાંધીનગર: ગુજરાત સરકારે પીએમ મોદીની ઈંધણ બચાવવાની અપીલ બાદ અનેક પગલાંઓ લીધા છે. જેમાં હવે સરકારે પરિપત્ર જાહેર કરીને સરકારી કચેરીઓને ઇંધણ બચાવવા નિર્દેશ આપ્યા છે. જેમાં સરકારી અધિકારીઓને અનિવાર્ય સંજોગો સિવાય વિદેશ પ્રવાસ અને જિલ્લા બહારની મુસાફરી પર પ્રતિબંધ મુકાયો છે.તેમજ તમામ બેઠકો  વીડિયો કોન્ફરન્સિંગ અને ઓનલાઈન માધ્યમથી  કરવા સૂચના આપવામાં આવી છે. 

વધારાના વાહનો સરકારી વાહન પુલમાં જમા કરાવવા 

આ પરિપત્ર મુજબ  ઈંધણની બચત માટે એકથી વધુ ચાર્જ સંભાળતા અધિકારીઓએ વધારાના વાહનો  સરકારી વાહન પુલ'માં જમા કરાવવા પડશે. તેમજ જો  ઉપલબ્ધ હોય ત્યાં ઈલેક્ટ્રિક વાહન  કે જાહેર પરિવહનનો જ ઉપયોગ કરવો જોઇએ. રાખવો પડશે. આ ઉપરાંત  સરકારી કેન્ટીનોમાં આગામી 6 મહિનામાં પીએનજી કનેક્ટિવિટી ફરજિયાત લેવા જણાવ્યું છે. 

ઓનલાઇન માધ્યમોનો ઉપયોગ કરવા આદેશ 

આ ઉપરાંત સરકારી કામકાજ માટે પ્રવાસો ટાળી ટેલિફોન, મોબાઈલ, ઈ-મેઈલ અને વીડિયો કોન્ફરન્સિંગ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો.તેમજ સરકારી અધિકારીઓએ અનિવાર્ય સંજોગો સિવાય વિદેશ પ્રવાસ કરવો નહીં અને વિદેશમાં યોજાતી તાલીમ, પરિસંવાદો, અભ્યાસ પ્રવાસો કે પરિષદોમાં ભાગ લેવાનું મોકૂફ રાખવું. 

Government of Gujarat

તેમજ શક્ય હોય ત્યાં સુધી જિલ્લા બહારની મુસાફરી ટાળવી અને જો જરૂરી હોય તો મુસાફરી કરતા પહેલાં નિયંત્રણ અધિકારીની મંજૂરી મેળવવી ફરજિયાત છે.  

ઈંધણ બચત માટે સરકારી પરિપત્રમાં જણાવ્યા મુજબ ઉપલબ્ધ સરકારી વાહનોની સમીક્ષા કરી વધારાના વાહનો બિનવપરાશમાં મૂકવા. તેમજ પર્યાવરણ અને ઈંધણની બચત માટે અધિકારીઓ/કર્મચારીઓએ વ્યક્તિગત ખાનગી વાહનો ટાળીને મેટ્રો, એસ.ટી. બસ, રેલવે વગેરે જેવી જાહેર પરિવહન સેવાઓનો મહત્તમ ઉપયોગ કરવો.  

બિનજરૂરી ખરીદી કે સંગ્રહખોરી ન કરે તે માટે જનજાગૃતિ અભિયાન ચલાવવું

આ ઉપરાંત  વૈશ્વિક પરિસ્થિતિના કારણે લોકો ગભરાટમાં આવીને બિનજરૂરી ખરીદી કે સંગ્રહખોરી ન કરે તે માટે જનજાગૃતિ અભિયાન ચલાવવું. તેમજ  વિવિધ વિભાગોના કાર્યક્રમો સાદગીપૂર્ણ રીતે આયોજિત કરવા અને લોકાર્પણના કાર્યક્રમો પ્રત્યક્ષ કરવાને ઓનલાઈન પદ્ધતિથી કરવા જોઇએ. 

તમામ વિભાગોને ચુસ્ત પાલન કરવા આદેશ 

આ પરિપત્રમાં જણાવ્યા મુજબ આ સૂચનાઓનો તમામ સરકારી વિભાગો, ખાતાના વડાઓ, જાહેર સાહસો, બોર્ડ-નિગમો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સરકારી યુનિવર્સિટીઓએ ચૂસ્તપણે અમલ કરવાનો રહેશે