Mon Sep 14 2026

Logo

વિધાનસભામાં જીએસટી સુધારા વિધેયક પસાર, સુધારા બાદ 'ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ'ને મળશે વેગ

2026-09-10 21:08:19
Author: Mumbai Samachar Team
વિધાનસભામાં જીએસટી સુધારા વિધેયક પસાર, સુધારા બાદ 'ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ'ને મળશે વેગ

અમદાવાદઃ નાણા પ્રધાન કનુભાઈ દેસાઈએ જી.એસ.ટી. કાઉન્સિલની 56મી બેઠકની ભલામણોના આધારે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારાઓ સાથે સુસંગતતા જાળવી ગુજરાત રાજ્યના જી.એસ.ટી. સુધારા વિધેયક રજૂ કર્યું હતું. જેને વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું. આ સુધારા વિધેયકની જરૂરિયાત અંગે નાણામંત્રીએ જણાવ્યું કે, જી.એસ.ટી. કાયદામાં કરવામાં આવેલા સરળીકરણના પરિણામે ગત નાણાકીય વર્ષ દરમિયાન ગુજરાત રાજ્યમાં 99.6 ટકા રિટર્ન નિયમિત સમયમર્યાદામાં ભરાયું છે. જે રાષ્ટ્રીય સરેરાશથી સૌથી વધુ છે. ગુજરાત રાજ્યના કરદાતાઓ સમયસર રિટર્ન ભરવાની બાબતમાં સમગ્ર દેશમાં છેલ્લાં 5 વર્ષથી પ્રથમ ક્રમે છે.

જીએસટી સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર

વધુમાં જણાવ્યું કે, જી.એસ.ટી. 2.0 હેઠળ વેરાના દરમાં સુધારાઓ થકી સામાન્ય નાગરિકોને રાહત આપવામાં આવી છે. કેન્સર જેવી ગંભીર બીમારીની સારવાર માટે વપરાતી દવાઓ, વ્યક્તિગત મેડિક્લેમ અને વ્યક્તિગત જીવન વીમા પ્રીમિયમને જી.એસ.ટી.માંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે. જ્યારે બટર, ઘી, સાબુ, શેમ્પૂ, ખેતી માટેના ટ્રેક્ટર અને તેના પાર્ટ્સ, બિયારણ સાધનો, અન્ય મશીનરીઓ, સ્ટેશનરી, વોટર કલર તેમજ રમત-ગમતના સાધનો વગેરે પર વેરાના દરો ઘટાડવામાં આવ્યા છે.

સુધારા વિધેયકની મહત્વપૂર્ણ બાબતો...

આ સુધારા વિધેયકની વાત કરવામાં આવે તો, કલમ 15(3)(બી)માં સુધારા દ્વારા વેચાણ પછીના ડિસ્કાઉન્ટને કરાર સાથે જોડવાની શરત દૂર કરવામાં આવી છે. વેચનાર દ્વારા ક્રેડિટ નોટ આપવામાં આવે અને ખરીદનાર દ્વારા તે ડિસ્કાઉન્ટ પર મેળવેલી વેરા શાખ કલમ 34 મુજબ રિવર્સ કરવામાં આવે તો વેચાણ કરનાર ડિસ્કાઉન્ટને વેચાણ મૂલ્યમાંથી બાદ કરી વેરાકીય જવાબદારીમાં ઘટાડાનો લાભ મેળવી શકશે. આનાથી અનુપાલનનો બોજ ઘટશે અને અંતિમ ઉપભોક્તાને લાભ મળશે.

કલમ 15(3)(બી)ના સુધારાને અનુષંગિક સુધારો કલમ 34(1)માં પણ સૂચવવામાં આવ્યો છે. જેથી વેચાણ પછી આપવામાં આવેલી ડિસ્કાઉન્ટ માટે ક્રેડિટ નોટ ઇસ્યૂ કરી શકાશે. હાલમાં કલમ 54 હેઠળ રિફંડની અરજીના 60 દિવસની અંદર રિફંડ ચૂકવવાની જોગવાઈ છે. સુધારા દ્વારા ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરને કારણે ઉપસ્થિત થતા રિફંડ માટે 90 ટકા પ્રોવિઝનલ રિફંડ દિન-7માં આપવાની જોગવાઈ લાગુ કરવામાં આવશે. જેનાથી ઉદ્યોગકારોનું રોકડ ભંડોળ સુદૃઢ બનશે. હાલમાં રિફંડની રકમ રૂપિયા 1,000થી ઓછી હોય તો રિફંડ મળવા પાત્ર નથી. વિધેયક દ્વારા કલમ-54માં સુધારો કરીને વેરાની ચુકવણી સાથે નિકાસ કરેલા માલના રિફંડના દાવાઓ ઉપર રૂપિયા 1,000ની મર્યાદા દૂર કરી રિફંડ આપવામાં આવશે.