નવી દિલ્હી: કેન્દ્ર સરકાર સીમાંકન અને મહિલા આરક્ષણ સાથે જોડાયેલા સંભવિત સંશોધન વિધેયકોને આગળ ધપાવવાની તૈયારીમાં લાગેલી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદનું ચોમાસું સત્ર 13 ઓગસ્ટે સમાપ્ત થયા પછી તત્કાળ સત્રાવસાન ન કરી શકાય, જેથી જરૂર પડ્યે વહેલી તકે વિશેષ સત્ર બોલાવી શકાય. સરકાર આ મહત્વપૂર્ણ વિધેયકોને પસાર કરવા માટે જરૂરી બે-તૃતીયાંશ બહુમતી એકત્ર કરવાની દિશામાં કામ કરી રહી છે. જો સંખ્યાબળ સુનિશ્ચિત થઈ જાય તો 17 ઓગસ્ટથી ત્રણ દિવસીય વિશેષ સત્ર બોલાવી શકાય છે.
સંસદીય કાર્યપ્રધાનની રાહુલ ગાંધી સાથે વાતચીત
સંસદના ચોમાસા સત્રમાં ચાલી રહેલા મડાગાંઠને ખતમ કરવાના પ્રયાસોના ભાગરૂપે સંસદીય કાર્યપ્રધાન કિરેન રિજિજુએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી. લગભગ 50 મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ રિજિજુએ સીમાંકન અને મહિલા આરક્ષણ સાથે જોડાયેલા બંધારણીય સંશોધન વિધેયક પર કોંગ્રેસનો સહયોગ માંગ્યો, પરંતુ રાહુલ ગાંધીએ સ્પષ્ટ કરી દીધું કે ફંડ ચોરી અને વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના મુદ્દે ગૃહમંત્રી અમિત શાહના નિવેદન વગર સદનની કાર્યવાહી સામાન્ય રીતે નહીં ચાલી શકે. બેઠકમાં સંસદમાં બનેલી મડાગાંઠ અને તેને સમાપ્ત કરવાના સંભવિત રસ્તાઓ પર પણ ચર્ચા થઈ.
બીજી બાજુ, સરકાર બંને સદનોમાં હવે બે-તૃતીયાંશ બહુમતીથી વધુ દૂર નથી. સંખ્યા એકત્ર કરવા માટે સરકાર આ સીમાંકન બિલમાં બેઠકોમાં પચાસ ટકા વધારાની લેખિત જોગવાઈ કરી શકે છે.
સરકારની પાસે શું છે વિકલ્પ?
સુત્રોના જણાવ્યા અનુસાર સરકારની સામે હાલ બે વિકલ્પ છે. પહેલો વિકલ્પ વિપક્ષ સાથે સહમતી બનાવે. ચોમાસું સત્રના અંતિમ સપ્તાહમાં પરિસીમન અને મહિલા આરક્ષણ સંશોધન વિધેયક રજૂ કરવામાં આવે. બીજો વિકલ્પ 15 ઓગસ્ટની રજા પછી સત્રને આગળ વધારવામાં આવે. પ્રસ્તાવિત સંશોધનમાં લોકસભા અને વિધાનસભાની બેઠકોમાં 50 ટકા વધારો તથા આગામી લોકસભા ચૂંટણીથી 33 ટકા મહિલા આરક્ષણ લાગુ કરવાની જોગવાઈ હોવાનું જણાવાઈ રહ્યું છે.
રાજકીય સમીકરણોમાં તાજેતરના ફેરફારો બાદ સરકાર બંને સદનમાં જરૂરી બે-તૃતીયાંશ સમર્થન એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. સૂત્રોનો દાવો છે કે બેઠકોમાં વધારાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવે તો કેટલાક પ્રાદેશિક પક્ષોનું સમર્થન પણ મળી શકે છે.