Mon Jul 27 2026

Logo

દિલ્હી હાઇકોર્ટે આપ નેતાઓ ચૂંટણી લડવા ગેરલાયક ઠેરવવાની અરજી ફગાવી

2026-05-20 16:50:25
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: દિલ્હી હાઇકોર્ટે એક કેસમાં આપના કન્વીનર અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને દુર્ગેશ પાઠકને રાહત આપી છે. કોર્ટે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને દુર્ગેશ પાઠકને ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવા અને પાર્ટીની નોંધણી રદ કરવાની પીઆઈએલ ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું હતું કે આ અરજી મૂળભૂત રીતે ખામીયુક્ત છે. 

આવી માંગણીઓનો કોઈ કાનૂની આધાર નથી 

આ જાહેર હિતની અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે,  આબકારી નીતિ કેસની સુનાવણીમાં આ  નેતાઓએ કોર્ટ કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો અને સોશિયલ મીડિયા પર ન્યાયાધીશ વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી હતી. પરિણામે, તેમને ચૂંટણી લડવાથી રોકવા અને આપની નોંધણી રદ કરવાની માંગ કરવામાં આવી હતી. જો કે, કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આવી માંગણીઓનો કોઈ કાનૂની આધાર નથી.  

ન્યાયિક સંસ્થાઓમાં વિશ્વાસ ઓછો થઈ શકે છે

આ ઉપરાંત આ અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે ન્યાયિક પ્રણાલી ઉચ્ચ અદાલતોમાં અપીલ જેવા ઉપાયો પૂરા છે, પરંતુ કોઈપણ અરજદાર કોર્ટ કાર્યવાહીનો બહિષ્કાર કરી શકતો નથી કારણ કે તેઓ ન્યાયિક આદેશોથી અસંતુષ્ટ છે. તેમાં વધુમાં દલીલ કરવામાં આવી હતી કે આવા વર્તનથી ખતરનાક ઉદાહરણ સ્થાપિત થઈ શકે છે અને ન્યાયિક સંસ્થાઓમાં જાહેર વિશ્વાસ ઓછો થઈ શકે છે.

 ન્યાયિક કાર્યવાહીને મનસ્વી અથવા વૈકલ્પિક ગણી શકાય નહીં

પીઆઈએલમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું હતું કે ન્યાયિક કાર્યવાહીને  મનસ્વી અથવા વૈકલ્પિક ગણી શકાય નહીં. સિવાય કે એવા કિસ્સાઓ જ્યાં સક્ષમ અદાલત દ્વારા કાયદા અનુસાર સ્પષ્ટપણે મુક્તિ આપવામાં આવી હોય.