Sun Jul 26 2026

Logo

'મોદી સત્તામાં આવ્યા પછી 152 પેપર ફૂટ્યાં, NEETના 13 વિદ્યાર્થીએ આપઘાત કર્યા.....'

2026-07-22 08:44:57
Author: Mumbai Samachar Team
Article Image

કોંગ્રેસના સાંસદ અને તમિળનાડુ પાર્ટી સમિતિના પ્રમુખ માણિકમ ટાગોરે મંગળવારે આરોપ લગાવ્યો કે "NEET-UG કૌભાંડથી ભારતના સૌથી તેજસ્વી યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં થયા છે." તેમણે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની પણ માંગ કરી હતી.

"કોંગ્રેસ સાંસદે આરોપ લગાવ્યો કે 2014થી અત્યાર સુધીમાં 152 પેપર લીક થયા છે. જેની જવાબદારી લઇને પ્રધાન પહેલા રાજીનામું આપો. 2021 થી અત્યાર સુધીમાં NEET સાથે જોડાયેલી વિદ્યાર્થીઓની 93 આત્મહત્યાઓ થઈ છે. તેમની પોતાની સરકારના પેપર લીકને કારણે ફરીથી પરીક્ષા યોજવાની ફરજ પડી તેના પછીના 46 દિવસમાં જ ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે. અમને ઉપદેશ આપવાનું બંધ કરો. રાજીનામું આપો."

તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન બહાર કોંગ્રેસના વિરોધ પ્રદર્શનના થોડા કલાકો બાદ મૂકવામાં આવેલી શિક્ષણ મંત્રીની એક ટ્વીટ (X પોસ્ટ) નો જવાબ આપી રહ્યા હતા.

મંગળવારે પ્રધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન બહાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનની આકરી ટીકા કરી હતી તેમજ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર "વિદ્યાર્થીઓનો રાજકીય હથિયાર તરીકે નિર્લજ્જતાથી ઉપયોગ કરવાનો" આરોપ લગાવ્યો હતો

"ધર્મેન્દ્ર પ્રધાને X (ટ્વિટર) પર લખ્યું કે લોકસભાના વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અરાજકતા ઊભી કરવા માટે વિદ્યાર્થીઓનો રાજકીય હથિયાર તરીકે નિર્લજ્જતાથી ઉપયોગ કરવાનું ચાલુ રાખી રહ્યા છે. શ્રી રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષે માનનીય વડાપ્રધાનના નિવાસસ્થાન બહાર ધરણા કરવાનું પસંદ કર્યું, જેનાથી જનતા હેરાન થઇ અને નક્કી કરેલા સુરક્ષા પ્રોટોકોલનો અનાદર થયો," 

તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનનો હેતુ "માત્ર રાજકીય હેડલાઇન્સ મેળવવા માટે હંગામો મચાવવાનો" હતો.

"સરકારે વ્યાપક ચર્ચા માટે પોતાની તૈયારી દર્શાવી હોવા છતાં, કોંગ્રેસે લોકશાહી ઢબે ચર્ચા કરવાને બદલે રાજકીય ડ્રામા કરવાનું પસંદ કર્યું. તેમનો ઉદ્દેશ્ય ક્યારેય વિદ્યાર્થીઓ માટે ઉકેલ લાવવાનો નહોતો, પરંતુ માત્ર રાજકીય હેડલાઇન્સ મેળવવા માટે હંગામો કરવાનો હતો. રાહુલ ગાંધી માટે આ મુદ્દો વિદ્યાર્થીઓ માટેનો નથી. ચર્ચા માટે સરકારની તમામ તૈયારીઓ છતાં માત્ર વિવાદ ઉભો કરવા રાહુલ ગાંધીએ આવું કર્યું છે," પ્રધાને ઉમેર્યું.

ભાજપના નેતાએ આગળ લખ્યું, "અમારી સરકાર ગૃહના પટલ પર NEET અંગે ચર્ચા કરવા અને આપણા યુવાનોની દરેક વાસ્તવિક ચિંતાનું નિવારણ લાવવા માટે 100% કટિબદ્ધ છે. ભારતના વિદ્યાર્થીઓ રાજકીય પ્રચારના સાધન બનવા કરતાં ઘણું બધું સારું મેળવવા માટે હકદાર છે.