સુકમા : દેશમાં ચલાવવામાં આવી રહેલા નકસલ મુક્ત અભિયાન અંતર્ગત છત્તીસગઢમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. જેમાં સુકમા જિલ્લામાં 22 નક્સલીઓએ હિંસા છોડીને સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. જેમાં એક મહિલા નક્સલીનો પણ સમાવેશ થાય છે. પુનર્વસન નીતિ અને પૂના માર્ગેમ ઝુંબેશથી પ્રભાવિત થઈને અનેક નક્સલીઓએ વિચારધારા છોડી દીધી છે. આ તમામને પુનર્વસન સુવિધાનો લાભ મળશે
સર્ચ ઓપરેશન અને ઘેરાબંધીના કારણે નક્સલવાદી મજબૂર બન્યા
આ નકસલીઓએ અધિક પોલીસ અધિક્ષક રોહિત શાહ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આત્મસમર્પણ કર્યું હતું. આ મોટી સફળતામાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ, ડિસ્ટ્રિક્ટ પોલીસ ફોર્સ, રિજનલ ફિલ્ડ ટીમ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને કોબ્રા બટાલિયને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જેમાં લાંબા સમય સુધી સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા સર્ચ ઓપરેશન અને ઘેરાબંધીના કારણે નક્સલવાદી સંગઠનો સતત દબાણ હેઠળ હતા.
સકારાત્મક પરિવર્તન લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ
આ આત્મ સમર્પણને વહીવટી અધિકારીઓએ નક્સલ મુક્ત ભારત અભિયાન માટે એક મજબૂત પગલું ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે ભવિષ્યમાં નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ, વિકાસ અને વિશ્વાસનું વાતાવરણ વધુ મજબૂત બનશે. આ પગલું પ્રદેશમાં સકારાત્મક પરિવર્તન લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે.