Wed Jun 24 2026

Logo

વડોદરા યાર્ડ રિ-મોડલિંગના કારણે કચ્છ-મુંબઈ વચ્ચેની ટ્રેનોના સ્ટોપેજમાં ફેરફાર

2026-06-24 08:53:47
Author: mumbai samachar team
Article Image

ભુજ: વડોદરા રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલા રિ-ડેવલપમેન્ટ અને યાર્ડ પ્લેટફોર્મની રેલવે લાઈનોના નવીનીકરણના કામકાજને પગલે રેલ વ્યવહારને વ્યાપક અસર પહોંચી છે. રેલવે પ્રશાસન દ્વારા અનેક ટ્રેનોના સ્ટોપેજમાં અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં કચ્છથી મુંબઈ તરફ જતી ટ્રેનોનો પણ સમાવેશ થાય છે.

પશ્ચિમ રેલવેના જન સંપર્ક અધિકારીના જણાવ્યા અનુસાર, આગામી 24 જૂનના ભુજ-બાન્દ્રા (09012), 25 જૂનના ગાંધીધામ-બાન્દ્રા (09416), 27 અને 29 જૂનના ભુજ-બાન્દ્રા (09038), 29 જૂનના ભુજ-બાન્દ્રા (09010) તેમજ 30 જૂન અને 1 જુલાઈના રોજ દોડનારી સયાજીનગરી એક્સપ્રેસ (20908) વડોદરા સ્ટેશનના બદલે વિશ્વામિત્રી સ્ટેશને થોભશે. આ ઉપરાંત 29, 30 જૂન અને 1 જુલાઈના રોજ ભુજથી રવાના થનારી કચ્છ એક્સપ્રેસ (22,956)ને વડોદરાના બદલે બાજવા સ્ટેશન ખાતે અસ્થાયી સ્ટોપેજ આપવામાં આવ્યું છે. મુસાફરોને આ બદલાવની નોંધ લઈને પ્રવાસનું આયોજન કરવા રેલવે તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

ઉત્સવ વૈદ્ય