કેનેડામાં સત્તા પરિવર્તન બાદ હવે ભારત સાથેના સંબંધોમાં સુધારો જોવા મળી રહ્યો છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીની 26 ફેબ્રુઆરીએ યોજાનારી ભારત મુલાકાત પહેલા કેનેડા સરકારે એક મોટું પગલું ભર્યું છે. મુંબઈ 26/11 આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ તહવ્વુર હુસૈન રાણાની નાગરિકતા રદ કરવાની પ્રક્રિયા કેનેડાએ શરૂ કરી દીધી છે. જસ્ટિન ટ્રુડોના શાસનકાળ દરમિયાન બંને દેશો વચ્ચે જે તણાવ ઉભો થયો હતો, તેને દૂર કરી નવી કાર્ની સરકાર હવે ભારતના વિશ્વાસ જીતવા માટે આ મહત્વપૂર્ણ કાનૂની કાર્યવાહી કરી રહી હોય તેમ જણાય છે.
કેનેડાના ઇમિગ્રેશન વિભાગ (IRCC) મુજબ, તહવ્વુર રાણાએ 2001માં છેતરપિંડી કરીને કેનેડાની નાગરિકતા મેળવી હતી. ૬૫ વર્ષીય રાણા 1997માં કેનેડા ગયો હતો અને 2000માં નાગરિકતા માટે અરજી કરતી વખતે તેણે પોતાના રોકાણ વિશે ખોટી વિગતો આપી હતી. તપાસમાં સામે આવ્યું છે કે રાણાએ દાવો કર્યો હતો કે તે ઓટાવા અને ટોરોન્ટોમાં રહ્યો હતો, પરંતુ વાસ્તવમાં તે મોટાભાગનો સમય અમેરિકાના શિકાગોમાં વિતાવતો હતો. વિભાગે તેના પર 'ગંભીર અને ઈરાદાપૂર્વક છેતરપિંડી' કરવાનો આરોપ લગાવ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે જો તેણે સાચી માહિતી આપી હોત તો તેને નાગરિકતા મળી ન હોત.
આ મામલો હાલમાં કેનેડાની ફેડરલ કોર્ટમાં છે. નાગરિકતા રદ કરવાના પત્ર બાદ રાણાના વકીલોએ આ નિર્ણયને માનવાધિકારનું ઉલ્લંઘન ગણાવી પડકાર્યો છે. તાજેતરની સુનાવણીમાં કેનેડા સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને લગતી કેટલીક સંવેદનશીલ માહિતીને ગુપ્ત રાખવાની પરવાનગી માંગી છે. કોર્ટ હવે નક્કી કરશે કે રાણાએ જૂઠું બોલીને નાગરિકતા લીધી છે કે નહીં. જો કોર્ટ સરકારની તરફેણમાં ચુકાદો આપે છે, તો રાણા સત્તાવાર રીતે કેનેડિયન નાગરિક રદ કરવામાં આવશે, જે તેની સામેના આતંકવાદના કેસમાં ભારત માટે મોટો વિજય સાબિત થશે.
પાકિસ્તાની મૂળનો તહવ્વુર રાણા હાલમાં ભારતની કસ્ટડીમાં છે અને નવી દિલ્હીની જેલમાં 26/11ના હુમલાના કેસમાં ટ્રાયલનો સામનો કરી રહ્યો છે. ગયા વર્ષે મે મહિનામાં અમેરિકાથી પ્રત્યાર્પણ કર્યા બાદ ભારતની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ તેની ઔપચારિક ધરપકડ કરી હતી. લશ્કર-એ-તૈયબા દ્વારા કરવામાં આવેલા મુંબઈ હુમલામાં 160થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવે જ્યારે કેનેડા તેની નાગરિકતા રદ કરવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આતંકવાદ સામેની આ લડાઈમાં ભારતનું પલ્લું વધુ ભારે થયું છે.