Fri May 01 2026

Logo

ગોવા અગ્નિકાંડઃ નાઈટ ક્લબ 'બર્ચ બાય રોમિયો લેન'  પર ચાલ્યું બુલડોઝર

2025-12-09 19:51:57
Author: Vimal Prajapati
Article Image

ગોવાઃ ગોવા બર્ચ બાય રોમિયો લેનમાં ભીષણ આગ લાગી હતી. આમાં કુલ 25 લોકોનું મોત થયું હતું. આ સમગ્ર મામલે ગોવામાં આવેલા વાગાતોર વિસ્તારમાં સઘન કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે અગ્નિકાંડ બાદ રોમિયો લેન ક્બલમાં બુલડોઝર કાર્યવાહી કરીને પાડી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા આ ક્લબના ગેરકાયદેસરના ભાગને તોડી પાડવામાં આવ્યો છે. જો કે, આ બર્ચ બાય રોમિયો લેન ક્લબ અગ્નિકાંડ કેસમાં મુખ્ય આરોપીઓ ગૌરવ લૂથરા અને સૌરભ લૂથરા હજી પણ ફરાર છે. આ બંને આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

લૂથરા બ્રદર્સ ઈન્ડિગોની ફ્લાઈટમાં થાઈલેન્ડ ભાગી ગયાં

સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે ક્લબમાં આગ લાગી તેના બાદ તરત જ બંને આરોપીઓ દેશ છોડીને ભાગી ગયાં હતાં. આ બંને ઈન્ડિગોની ફ્લાઈટમાં વિદેશ ગયાં હોવાનું પણ જાણવા મળ્યું હતું. પોલીસે આપેલી વિગતો પ્રમાણે પહેલા બંને આરોપીઓ મુંબઈથી દિલ્હી ગયાં હતા. અહીંથી ઈન્ડિગોની ફ્લાઈટમાં ફુકેટ ફરાર થઈ ગયાં હતાં. જો કે, પોલીસે આરોપીઓે ઘરે નોટિસ મોકલવામાં આવી છે. ગોવા પોલીસ દ્વારા આ કેસમાં તપાસ અને કાર્યવાહી કરવા માટે ઇન્ટરપોલની મદદ માંગવામાં આવી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

આરોપી ભારત કોહલી દિલ્હીથી ઝડપાયો

સીબીઆઈ દ્વારા આરોપીઓના લોકેશનની તપાસ કરવામાં આવી રહી છે. જો કે, આ કેસમાં પોલીસે અન્ય આરોપી ભારત કોહલીની નવી દિલ્હીમાંથી ધરપકડ કરીને તેનો ગોવા પોલીસને સોંપી દીધો છે. પોલીસ દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. એટલા માટે જ તંત્ર દ્વારા રોમિયો ક્લબ પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, વિદેશ ભાગી ગયેલા આરોપીઓને પણ સત્વરે ભારતમાં લાવવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગોવાના મુખ્ય પ્રધાને કડક કાર્યવાહીના આદેશ આપ્યાં

અત્રે નોંધનીય છે કે, ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે આદેશ આપ્યો છે કે, આ બર્ચ બાય રોમિયો લેન નાઈટ ક્લબને તોડી પાડવામાં આવે. એટલા માટે તંત્ર દ્વારા લૂથરા બ્રદર્સના રોમિયા લેન નાઈટ ક્લબને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતું પોલીસે ક્લબના બંને માલિકો સૌરભ લુથરા અને ગૌરવ લુથરા સામે ઇન્ટરપોલ નોટિસ એટલે કે બ્લુ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. અગ્નિકાંડની વાત કરવામાં આવે તો, પાંચ પ્રવાસીઓ સહિત 25 લોકો આગમાં જીવતા ભડથું થયાં હતાં. ક્લબમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે,  લોકો બેઝમેન્ટમાં ભાગ્યાં હતાં, પરંતુ અહીં વેન્ટિંલેશનની કોઈ સુવિધા ના હોવાના કારણે 21 લોકોનું તો શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું.