ફતેહપુર: દેશના મોટાભાગના રાજ્યોમાં આજે મુસ્લિમોના મહત્વના એવા ધાર્મિક તહેવાર મોહરમ મનાવવામાં આવી રહ્યો છે. જે અંર્તગત બિહારના ગયાના ફતેહપુર બ્લોકમાં કોમી એકતાની અનોખી મિસાલ જોવા મળી છે. જેમાં આ વિસ્તારના 60 ગામના હિન્દુ પરિવાર વર્ષોથી શ્રદ્ધા સાથે મોહરમ મનાવે છે. આ 60 ગામો એવા ગામો પણ છે જેમાં એક પણ મુસ્લિમ પરિવાર વસવાટ નથી કરતો.
હિન્દુ પરિવારો તાજિયા બનાવી અને પરંપરાગત રીતે મોહરમ મનાવે છે
આ અંગે મળતી માહિતી મુજબ ફતેહપુર બ્લોકના ગદહિયાતન, જેહલીબિઘા, બહેરા, મોરવે, માતાસો, કોડ્યા, ભગવાનપુર, ખજુરી, કેન્દુઆ, રક્ષી, સતનિયાન, કેવલ, સલૈયાખુર્દ, રાજાબીઘા, પટેયા, પકરિયા, જસપુર અને મેયારી જેવા ડઝનબંધ ગામોમાં હિન્દુ પરિવારો તાજિયા બનાવી અને પરંપરાગત રીતે મોહરમ મનાવે છે. તેમજ અનેક જગ્યા પર ઇમામવાડા મુસ્લિમ ધર્મગુરુઓને તેમની ધાર્મિક વિધીઓ કરવા માટે આમંત્રણ આપવામાં આવે છે.
ઇસ્યુ કરાયેલા લાઇસન્સમાંથી આશરે 60 હિન્દુ પરિવારના
તેમજ આ વર્ષે ફતેહપુરા બ્લોકમાં 103 સમિતિઓએ મોહરમ મનાવવા માટે લાઇસન્સ માટે અરજી કરી છે. તેમજ ગત વર્ષે આ આંકડો 106 હતો. જેમાં ઇસ્યુ કરાયેલા લાઇસન્સમાંથી આશરે 60 હિન્દુ પરિવારો અને સમિતિઓના નામે હતા.
ઈમામવાડામાં મન્નત માંગવામાં આવી હતી
આ અંગે પટેયા ગામના રહેવાસી નરેશ પંડિતે જણાવ્યું કે, તેમના ગામમાં કોઈ મુસ્લિમ પરિવાર નથી રહેતા છતાં મોહરમ મનાવવાની પરંપરા પેઢીઓથી ચાલી રહી છે. તેમના પૂર્વજોના સમયમાં જ્યારે પરિવાર પર સંકટ આવ્યું ત્યારે એક વખત ઈમામવાડામાં મન્નત માંગવામાં આવી હતી. જેની બાદ સંકટ દૂર થયું હતું. ત્યારથી પરિવારે આ તહેવાર ઉજવવાનું ચાલુ રાખ્યું છે.