Wed Jun 17 2026

Logo

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત: કોર્ટમાં ચોંકાવનારો રિપોર્ટ રજૂ

2026-02-26 17:41:40
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: ભારતમાં સૌથી વધુ વાઘ ધરાવતા મધ્ય પ્રદેશ રાજ્યમાં વન્યજીવ સંરક્ષણની સ્થિતિ ચિંતાજનક બની છે. બાંધવગઢ ટાઈગર રિઝર્વના ફિલ્ડ ડાયરેક્ટરે મધ્ય પ્રદેશ હાઈ કોર્ટમાં રજૂ કરેલા સ્ટેટસ રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. 

રિપોર્ટ મુજબ, 21 નવેમ્બર 2025થી 2 ફેબ્રુઆરી 2026 વચ્ચેના ટૂંકા ગાળા (ત્રણ મહિના)માં રિઝર્વ અને તેની આસપાસના વિસ્તારોમાં કુલ 8 વાઘના મોત થયા છે. આ આંકડાએ વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ જગાડ્યો છે અને સરકારી તંત્રની કામગીરી પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે.

ઉપલબ્ધ રિપોર્ટમાં વાઘના મોતના મુદ્દાને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. વન વિભાગના જણાવ્યા અનુસાર ટાઈગર રિઝર્વની અંદર થયેલા 4 મૃત્યુ 'કુદરતી' હતા, જેમાં બે વાઘ પરસ્પર લડાઈમાં માર્યા ગયા હતા, એકનું બીમારીથી અને એકનું કૂવામાં ડૂબી જવાથી મોત થયું હતું. 

જોકે, રિઝર્વની બહારના સામાન્ય વન વિસ્તારમાં થયેલા અન્ય 4 વાઘના મોત અત્યંત ગંભીર છે. આ ચારેય વાઘના મોત ઇલેક્ટ્રિક કરંટ લાગવાને કારણે થયા હોવાનું કબૂલાયું છે, જે શિકારીઓની સક્રિયતા અથવા વન વિભાગની નિષ્ફળતા તરફ ઈશારો કરે છે.

વાઇલ્ડલાઇફ એક્ટિવિસ્ટ અજય દુબે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. અરજી મુજબ વર્ષ 2025માં મધ્ય પ્રદેશમાં કુલ 54 વાઘના મોત થયાં છે, જે 'પ્રોજેક્ટ ટાઈગર' શરૂ થયા પછીનો સૌથી મોટો આંકડો છે. એક્ટિવિસ્ટનો દાવો છે કે વન વિભાગનું સર્વેલન્સ સિસ્ટમ સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે અને અધિકારીઓ ઘણીવાર શંકાસ્પદ મોતોને 'ટેરિટોરિયલ ફાઈટ' (પરસ્પર લડાઈ) ગણાવીને પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લે છે.

સ્ટેટસ રિપોર્ટમાં બચાવ પક્ષે એમ પણ કહેવાયું છે કે વન વિભાગે વીજળી વિભાગને વારંવાર પત્રો લખ્યા છે જેથી સંવેદનશીલ વિસ્તારોમાં વીજ લાઈનોને સુરક્ષિત બનાવી શકાય. ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશમાં અત્યારે કુલ 785 વાઘ છે, જ્યારે સમગ્ર ભારતમાં 3167 વાઘ છે. વર્ષ 2026ના પ્રથમ સપ્તાહમાં જ 6 વાઘના મોત થયા હોવાના અહેવાલે ખળભળાટ મચાવ્યો છે. હવે હાઈ કોર્ટ આ મામલે શું કડક વલણ અપનાવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.