પુણે: પુણે જિલ્લાના બારામતીમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને અન્ય ચારના ભોગ લેનારી વિમાન દુર્ઘટના પ્રકરણે પોલીસે એક્સિડેન્ટર ડેથ રિપોર્ટ (એડીઆર) દાખલ કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
બારામતી એરપોર્ટ પર બુધવારે સવારે ટેબલટોપ રનવેના ખૂણાથી 200 મીટર દૂર ચાર્ટર્ડ એરક્રાફ્ટ ક્રૅશ થયું હતું, જેમાં અજિત પવાર (66) અને અન્ય ચારનાં મોત થયાં હતાં.
પુણે ગ્રામીણ પોલીસના સિનિયર પોલીસ અધિકારીએ પુષ્ટિ આપી હતી કે અમે બારામતી તાલુકા પોલીસ સ્ટેશનમાં એડીઆર દાખલ કર્યો છે. પ્રક્રિયા અનુસાર એડીઆર મહારાષ્ટ્ર ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઇડી)ને સોંપવામાં આવશે, જે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (એએઆઇબી)ની તપાસના તારણોને આધારે તપાસ કરશે.
નાગરી ઉડ્ડયન મંત્રાલય હેઠળ કાર્યરત એએઆઇબીએ પહેલેથી જ વિમાન દુર્ઘટનાની તપાસ પોતાના હસ્તક લઇ લીધી છે. સીઆઇડીના અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં પ્રભાવશાળી જનપ્રતિનિધિનું મૃત્યુ થાય તો તપાસ સીઆઇડી દ્વારા કરવામાં આવે છે.
અમને હજી સુધી કોઇ આદેશ મળ્યો નથી. જોકે સીઆઈડી આદેશો પ્રાપ્ત કરશે અને સ્થાનિક પોલીસમાં નોંધાયેલા એડીઆરની તપાસ કરશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)