નવી દિલ્હી: ચંદીગઢથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI1879માં એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં એક મુસાફરે પ્લેનના લેન્ડિંગ સમયે બારીનો કાચ તોડી નાખ્યો હતો. આ ગંભીર હરકત છતાં વિમાન દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. કોકપિટ ક્રૂ દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) નું પાલન કરીને લેન્ડિંગ પછી તરત જ તે મુસાફરને ગ્રાઉન્ડ સ્ટાફ અને સુરક્ષાકર્મીઓને સોંપી દેવામાં આવ્યો હતો. એર ઈન્ડિયાના પ્રવક્તાએ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે ફ્લાઇટ દરમિયાન મુસાફરો, ક્રૂ અને વિમાનની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવી નથી અને કંપની આવા ગેરવર્તન પ્રત્યે 'ઝીરો-ટોલરન્સ' નીતિ અપનાવે છે.
આ મામલાની વધુ તપાસ માટે ઘટનાને એરલાઇનની ઇન્ટરનલ કમિટીને મોકલી દેવામાં આવી હતી અને રેગ્યુલેટરને પણ તેની જાણ કરવામાં આવી છે. આ કમિટી હવે નક્કી કરશે કે આ વ્યક્તિને તોફાની મુસાફર જાહેર કરીને 'નો-ફ્લાય લિસ્ટ'માં મૂકવો જોઈએ કે યોગ્ય નિયમો હેઠળ અન્ય કોઈ કાર્યવાહી થવી જોઈએ. એરપોર્ટના એક અધિકારીના જણાવ્યા અનુસાર, ફ્લાઇટમાં આ મુસાફર ખૂબ આક્રમક બની રહ્યો હતો અને કેબિન ક્રૂની વારંવારની ચેતવણીઓને અવગણી રહ્યો હતો, પરંતુ જેવો તેને સુરક્ષાકર્મીઓને સોંપવામાં આવ્યો, તેણે વારંવાર માફી માંગવાનું શરૂ કરી દીધું હતું.
આરોપી મુસાફર મૂળ પટનાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. એરપોર્ટના અન્ય એક અધિકારીએ નામ ન આપવાની શરતે માહિતી આપી હતી કે, સોમવારે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-3 પર આ આરોપી મુસાફરે પોલીસની કસ્ટડીમાંથી ભાગી છૂટવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, ત્યાં હાજર CISFની અત્યંત સતર્ક એવી ક્વિક રિસ્પોન્સ ટીમે તાત્કાલિક એક્શન લઈને તેને ભાગતો અટકાવી તરત જ ઝડપી લીધો હતો અને ફરીથી પોલીસને હવાલે કરી દીધો હતો.
આ ઘટના બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં આરોપીના માતા-પિતાએ જણાવ્યું હતું કે તેમનો દીકરો માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. તેમણે અધિકારીઓને એવી વિનંતી કરી હતી કે તેને પટના સુધીની યાત્રા કરવા દેવામાં આવે. પરંતુ, આ ઘટનાની સઘન તપાસ ચાલી રહી હોવાથી એર ઈન્ડિયાએ તેને બીજી કોઈ પણ ફ્લાઈટ પકડવાની મંજૂરી આપી ન હતી. અંતે, જરૂરી એવી તમામ ઔપચારિક પ્રક્રિયાઓ પૂરી કર્યા બાદ આરોપી મુસાફરને તેના માતા-પિતાને સોંપી દેવામાં આવ્યો હતો.