Thu Jun 18 2026

Logo

અમદાવાદીઓ તૈયાર રહેજો! સાયરનનો અવાજ સંભળાય તો ગભરાતા નહીં, આ છે કારણ...

2026-03-06 08:46:00
Author: MayurKumar Patel
Article Image

AI Generated Image


 

અમદાવાદઃ ઓપરેશન સિંદૂર બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ થઈ હતી. જે વખતે રાજ્યના બોર્ડર વિસ્તારોમાં સાયરન  વગાડીને લોકોને એલર્ટ કરવામાં આવતા હતા. આ દરમિયાન અમદાવાદમાં ફરી સાયરન વાગશે.

 નાગરિક સંરક્ષણ તાલીમશાળા અમદાવાદના કમાન્ડન્ટ અને નાયબ પોલીસ અધિક્ષક એ.એ.શેખના જણાવ્યા મુજબ, નાગરિક સંરક્ષણ તંત્રની સાયરનોની ખરીદી કરવાની હોવાથી ખરીદી પહેલા ટેસ્ટિંગ કરવામાં આવશે. આ સાયરનોનું ટેસ્ટિંગ તા. 07-03-2026ના રોજ હોમગાર્ડ્ઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ ખાતે સવારે 8 થી 10 કલાક દરમિયાન કરાશે. આ સમયગાળા દરમિયાન અવાર-નવાર સાયરન વગાડવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ એક સામાન્ય પ્રક્રિયા છે અને તેનો હેતુ સિવિલ ડિફેન્સ (નાગરિક સંરક્ષણ) તંત્ર દ્વારા ઉપયોગમાં લેવા માટે વિચારણા હેઠળની સાયરન સિસ્ટમની કાર્યક્ષમતા અને અવાજની મર્યાદા (રેન્જ) ચકાસવાનો છે.  સૂત્રો મુજબ આ સાયરન એક નિયંત્રિત પરીક્ષણ પ્રક્રિયાનો ભાગ હશે અને તે કોઈ કટોકટીની પરિસ્થિતિનો સંકેત આપતા નથી.

લાલ દરવાજા વિસ્તારમાં અથવા તેની આસપાસ રહેતા કે કામ કરતા નાગરિકોને નિર્ધારિત સમય દરમિયાન સાયરન સાંભળીને ગભરાવાની જરૂર નથી તેવી સલાહ આપવામાં આવી હતી.

પાટણ શહેર અને 42 સરહદી ગામો સાયરનથી સજ્જ

પાટણ શહેરમાં પણ આપત્તિ કે યુદ્ધ જેવી તાત્કાલિક પરિસ્થિતિમાં લોકોને ઝડપી ચેતવણી મળી રહે તે માટે પાટણ નગરપાલિકા દ્વારા અંદાજે રૂ.1 લાખના ખર્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં 8 સ્થળોએ સાયરન સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. તેમાંમાંથી ચાર હેવી સાયરન જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનો અવાજ લગભગ 5 કિલોમીટર સુધી સંભળાય છે. કુલ 12 સાયરન દ્વારા યુદ્ધ, કુદરતી આપત્તિ, આગ કે ભૂકંપ જેવી પરિસ્થિતિમાં લોકોને તાત્કાલિક એલર્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત સાંતલપુર પંથકના આશરે 42 જેટલા સરહદી ગામોમાં તંત્ર દ્વારા સાયરન સિસ્ટમ ગોઠવવામાં આવી છે. ફાંગલી ગામમાં મંદિર ઉપર સાયરન લગાવવામાં આવ્યું છે, જ્યારે જાખોત્રા અને અહેવાલ ગામમાં સાયરન ગ્રામ પંચાયત ખાતે રાખવામાં આવ્યા છે.