અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડવા તંત્ર દ્વારા નવો રિંગ રોડ બનાવવાનો નિર્ણય લેવાયો છે. રૂ. 2200 કરોડના ખર્ચે બનનારા આ રિંગ રોડનું કામ ડિસેમ્બર 2027 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. આ નવા રિંગ રોડમાં ધાણજ, સબસપુરા, સનાવડ, ગરોળિયા, કાણેટી, ચાંગોદર, ગિરમઠા, લાલી, નાંદેજ, બાકરોલ, ઝણુ, રાયપુર, લવારપુર, સરગાસણ,, પલસાણા, મોટી ભોંયણ, રણછોડપુરા, મણિપુર, કોલટ, તાજપુર, નાજ, મહુ, હીરાપુર, કુંજડ,હુકા, વીરા, શાહપુર, તારાપુર, ઉસ્માનાબાદ, ખાત્રજ, ઉનાલી, ગોધાવી, મોરૈયા, કાસિન્દ્રા, જેતલપુર, બારેજડી, ધામતવણ, કણભા, પરઢોલ, તલાવડી, રાંદેસણ, શેરથાનો સમાવેશ થાય છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમદાવાદમાં રિંગ રોડના ત્રીજા અને આખરી તબક્કાનું કામ શરૂ થઈ ગયું છે. જેમાં વિવિધ પ્રકારની સુવિધાઓ હશે. ઉપરાંત એક લાખ વાહનો પસાર થશે, તેને લઈ પણ ખાસ આયોજન કરાયું છે. નવા રિંગ રોડથી અનેક ગામડાઓનો વિકાસ થશે.
300 ફૂટનો આઉટર રિંગ રોડ બનાવવા માટે ઔડાએ 10 વર્ષની વિકાસ યોજનાનો પ્રસ્તાવ મૂકયો છે. આ રોડ 9 ગામોમાંથી ડેડિકેટેડ ફ્રેડ કોરિડોરના અંતરે પસાર થશે. નવો રિંગ રોડ બનાવવવા માટે જમીન સંપાદન કરવાની જરૂર નહીં પડે, નાવા આઉટર રિંગ રોડનો પ્લાન બન્યા બાદ આ વિસ્તારોમાં ટીપી મુકાશે. જેથી ઔડાને ટીપીની કપાતમાં તમામ જગ્યાએથી 40 ટકા જમીન આપોઆપ મળી જશે. જમીન સંપાદનનો અબજો રૂપિયાનો ખર્ચ પણ નહીં કરવો પડે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નવો રિંગ રોડ બનવાથી લોજિસ્ટિકને વેગ મળી શકે છે. હાલ દિલ્હી-મુંબઈ ફ્રેટ કોરિડોરનું કામ ચાલી રહ્યું છે. ગોધાવી ગામ પાસે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની લાઈન અલગ પડશે. હાલ ગોધાવી આસપાસના નિધરાડ સહિતના ગામોમાં લોજિસ્ટિક ઝોન મુકાયેલા છે. લોજિસ્ટિકની વધારે જરૂર હોય ત્યાં લોજિસ્ટિક પાર્ક પણ બની શકે છે.
આ ઉપરાંત સર્વિસ રોડ, મુખ્ય માર્ગની બન્ને તરફ 3 તથા 4 લેનના વિકલ્પ સાથે વિકસાવાશે. સમગ્ર રિંગ રોડની બહારની બાજુ યુટિલિટી કોરિડોર તથા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરાશે. ફ્લાય ઓવર બ્રિજ, રોડ અંડર બ્રિજ, ગ્રેડ સેપરેટર અને ફૂટ ઓવર બ્રિજ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાશે. સાથે સાથે પાણી અને કચરાના નિકાલની પણ વ્યવસ્થા ગોઠવાઇ છે. રિંગ રોડ ઉપર કુલ 7 ટોલ પ્લાઝા ઊભા કરાયા છે. જેમાં વાહનચાલકો પાસેથી ટોલ ટેક્સ ઉઘરાવવાનું કામ પણ ઔડાનું તંત્ર જ કરશે. આ આવકમાંથી રિંગ રોડનું કામ કરનારી બન્ને એજન્સીઓને નક્કી થયેલા કરાર મુજબની રકમ ચૂકવાશે.