અમદાવાદ: અમદાવાદ શહેરમાં ક્રાઇમના બનાવોએ શહેરની કાયદો અને વ્યવસ્થા સામે સવાલો કર્યા હતા, પણ ગઇકાલે બનેલા બનાવે તો કાયદાના અમલની જવાબદારી જેમના શિરે છે તે પોલીસની જ સુરક્ષાની સામે સવાલો ઊભા કરી દીધા હતા. કારણ કે અમદાવાદના ચડોળા તળાવ વિસ્તારમાં એક આરોપીને પકડવા ગયેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર આરોપીએ જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં JCP શરદ સિંઘલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પણ પોલીસ પર આવો હુમલો કરનાર આરોપી છે કોણ?
મૂળ બનાવની વાત કરીએ તો ગઇકાલે અમદાવાદના ચડોળા તળાવ વિસ્તારમાં એક આરોપીને પકડવા ગયેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવાં આવ્યો હતો, જેમાં જેસીપી શરદ સિંઘલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં વોન્ટેડ આરોપી હાજર છે. આથી તેને ઝડપી લેવા માટે પોલીસની ટીમ ચંડોળા તળાવ પહોંચી હતી અને પોલીસને આવતી જોઈને આરોપીએ પોલીસ પકડથી નાસવાના પ્રયાસ કર્યા હતા, જો કે પોલીસની પકડથી બચવા માટે આરોપીએ જેસીપી શરદ સિંઘલ પર છરી વડે હુમલો કરતા તેઓ ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા.
આ અંગે વાત કરતાં JCPએ જણાવ્યું હત કે અમે જ્યારે આરોપીની પૂછપરછ કરવા પહોંચ્યા, ત્યારે આરોપીએ રસોડામાં રહેલી છરી વડે મારા પર હુમલો કર્યો હતો. ત્યારબાદ બંનેને સિવિલમાં સારવાર આપવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ હથિયાર અને હત્યાના પ્રયાસના બે અલગ અલગ ગુના નોંધવામાં આવશે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મેં વર્ધી નહોતી પહેરી આથી આરોપી મને ઓળખી શક્યો નહતો.
પોલીસ પણ હુમલો કરનાર આરોપી શાહઆલમ વિસ્તારનો કુખ્યાત શખ્સ મહંમદ કલીમ ઉર્ફે કલીમ ભૈયા અકબરખાન પઠાણ છે. પોલીસ કાર્યવાહી દરમિયાન આરોપીના કબજામાંથી કુલ 4 ગેરકાયદેસર હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસ રેકોર્ડ અનુસાર, પકડાયેલા આરોપી કલીમ ભૈયા વિરુદ્ધ હત્યા, હત્યાના પ્રયાસ, લૂંટ અને ખંડણી જેવા 30 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ હિસ્ટ્રીશીટર સામે શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના દાખલ થયેલા છે, જેમાં સૌથી વધુ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં 25 ગુના નોંધાયા છે. આ ઉપરાંત વટવા અને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં 4-4 ગુના, પાલડીમાં 2, તેમજ નારોલ અને ડીસીબી (ક્રાઈમ બ્રાન્ચ) પોલીસ સ્ટેશનમાં 1-1 ગુનો નોંધાયેલો હોવાનું જાણવા મળ્યું હતું.