Thu Jun 18 2026

Logo

અમદાવાદ સિવિલમાં દર્દીઓના સગા-સંબંધીઓ માટે અત્યાધુનિક 'રેનબસેરા' તૈયાર, આટલો ખર્ચે થયો?

2026-03-27 14:06:00
Author: Vimal Prajapati
Article Image

દર્દીઓના સગા-સંબંધીઓ માટે રૂપિયા 60 કરોડના ખર્ચે 858 બેડનું અત્યાધુનિક રેનબસેરા બનાવવામાં આવ્યું

અમદાવાદઃ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં રાજ્યભરમાંથી તેમજ દેશ-વિદેશથી નાગરિકો જટિલ સર્જરી અને વિવિધ રોગોની સારવાર માટે આવે છે. અત્યાર સુધી હોસ્પિટલની નજીકના વિસ્તારોમાં પૂરતી સુવિધાના અભાવે અથવા આર્થિક મર્યાદાના કારણે અનેક પરિવારોએ મોંઘા દરની હોટલોમાં રોકાવું પડતું હતું અથવા ફૂટપાથ પર રાત વિતાવવી પડતી હતી.

858 બેડની ક્ષમતા ધરાવતું અત્યાધુનિક 'રેનબસેરા' તૈયાર 

હવે એ સમસ્યાનો અંત આવી ગયો છે. નાગરિકોની આ હાલાકી દૂર કરવા માટે સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા ખાતે રૂપિયા 60 કરોડના ખર્ચે 858 બેડની ક્ષમતા ધરાવતું અત્યાધુનિક 'રેનબસેરા' તૈયાર કરવામાં આવ્યું છે. રેનબસેરાની મુખ્ય વિશેષતાઓમાં વિશાળ  બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને 8 માળ ધરાવતા આ ભવનનું કુલ બાંધકામ ક્ષેત્રફળ 24,436 ચો.મી. છે. ગ્રાઉન્ડ ફ્લોર પર 280 લોકોની ક્ષમતા ધરાવતી વિશાળ કેન્ટીન અને આધુનિક રસોડું તેમજ અન્ય સુવિધાઓમાં ટીવી રૂમ, રિસેપ્શન, બેંક એટીએમ અને દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે 08 દુકાનોની વ્યવસ્થા કરવામાં આવી છે

રેનબસેરામાં સુરક્ષિત લોકરની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ

વધારે વિગતે વાત કરવામાં આવે તો, અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે બનેલા આ રેનબસેરામાં સ્વચ્છ ડોરમેટરી, પૂરતા શૌચાલય અને સામાન રાખવા માટે સુરક્ષિત લોકરની સુવિધા પણ ઉપલબ્ધ છે. ટ્રાફિકની સમસ્યા નિવારવા બેઝમેન્ટમાં 58 ફોર-વ્હીલર અને 51 ટુ-વ્હીલર માટે પાર્કિંગની સુવિધાની સુવિધા કરવામાં આવી છે.

દર વર્ષે અંદાજે 1 લાખથી વધુ દર્દીઓ દાખલ થાય છે

સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે અંદાજે 1 લાખથી વધુ દર્દીઓ દાખલ થાય છે. આ સુવિધાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સુરક્ષિત અને સન્માનજનક રહેઠાણ મળશે. તેનાથી હોસ્પિટલના કોરિડોર અને ગેલેરીઓમાં થતી ભીડ ઘટશે, જેના પરિણામે હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવામાં પણ સરળતા રહેશે. રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ આ 'રેનબસેરા' સેવા અને માનવીય અભિગમનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડશે.