જામનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરી ચુક્યા છે, જ્યારે ભાજપે હજુ સુધી ઉમેદવારો જાહેર કર્યા નથી. આ દરમિયાન જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 8 માંથી અસલમ ખીલજીને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા બાદ આમ આદમી પાર્ટી (AAP) વિવાદોમાં ઘેરાઈ છે. જામનગર મનપાના ભૂતપૂર્વ વિપક્ષી નેતા ખીલજી સામે 12 થી વધુ ગુનાહિત કેસો નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે, જેમાં ફાયરિંગ, ગેંગ વોર, તલવાર વડે હુમલા, હિંસક અથડામણ અને જમીન પચાવી પાડવા જેવા ગંભીર આરોપો સામેલ છે.
ખીલજી સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (GujCTOC) એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે અને હાલમાં તે પોલીસ રિમાન્ડ પર છે. તેનો ગુનાહિત ઈતિહાસ 2002 થી ચાલી આવે છે. તેની સામે નોંધાયેલી FIRમાં જામનગરના લાલ બંગલા સર્કલ પાસે હિંસક અથડામણ અને જૂની અદાવતમાં ફાયરિંગ જેવી ગંભીર ઘટનાઓનો ઉલ્લેખ છે.
આ નિર્ણયને કારણે પક્ષના આંતરિક વર્તુળોમાં ભારે ચિંતા પ્રસરી છે. અહેવાલો મુજબ, અગાઉ ચૂંટણી લડવા માટે ઉત્સુક એવા કેટલાક દાવેદારોએ ખીલજીની ઉમેદવારી વિશે જાણ્યા બાદ હવે પીછેહઠ કરી રહ્યા છે. આવા ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારની પસંદગીને લઈને પક્ષના પાયાના કાર્યકરોમાં પણ આઘાતની લાગણી છે.
આ પરિસ્થિતિને થાળે પાડવા માટે, AAP ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કાર્યકરોને તાકીદની સૂચના આપી હોવાનું કહેવાય છે. તેમણે કાર્યકરોને ઘરે-ઘરે જઈને લોકોને ચૂંટણી લડવા માટે સમજાવવા અને જરૂર પડે તો વિનંતી કરીને પણ ઉમેદવારી ફોર્મ ભરાવવાના નિર્દેશ આપ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ ઘટનાક્રમે પક્ષમાં ઉમેદવારની પસંદગી પ્રક્રિયા સામે મોટા પ્રશ્નો ઉભા કર્યા છે. નોંધનીય છે કે, આમ આદમી પાર્ટી અગાઉ ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે પણ ઉમેદવાર શોધવામાં સંઘર્ષ કરી રહી હતી અને છેવટે ત્યાં કોઈ ઉમેદવાર ઉભો રાખ્યો નહોતો. આવા સમયે જામનગરમાં હિસ્ટ્રીશીટરને ટિકિટ આપવાના નિર્ણયથી એવા કાર્યકરોમાં ભારે અસંતોષ છે જેઓ પક્ષમાં સ્વચ્છ અને નૈતિક રાજકારણની અપેક્ષા સાથે જોડાયા હતા.