વડોદરાઃ સંસ્કારી નગરી વડોદરામાં એક પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળીને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. જોકે આ પગલું ભરતા પહેલા તેણીએ પગ પર સુસાઈડ નોટ લખી હતી. લગ્નના ત્રણ વર્ષમાં જ પ્લોટ ખરીદવા માટે પિયરમાંથી 2 લાખ લાવવાનું કહી પતિ સહિત સાસરીયા ત્રાસ ગુજારતા હતા. આ ત્રાસથી કંટાળીને પરિણીતાએ પોતાની 8 મહિનાની બાળકીને પડોશીને સોંપી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
શું લખ્યું સુસાઈડ નોટમાં
મહિલાએ ગળાફાંસો ખાતા પહેલા તેના ડાબા પગમાં પેનથી સુસાઈડ નોટ લખી હતી. જેમાં તેણે લખ્યું, મેં જા રહી હું દુનિયા સે, પતિ અપને ઘરવાલો કો ખૂશ રખે મેં સહન નહીં કર પાઈ પિટાઈ.
મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ વડોદરાની રિલાયન્સ ટાઉનશિપમાં રહેતા એન્જિનિયર સુધીરકુમાર સામે તેની પત્નીને આપઘાત માટે મજબૂર કરવાનો ગુનો નોંધાયો છે. જૂન 2023માં લગ્ન કરનાર આ દંપતીને હાલ 8 મહિનાની પુત્રી છે. પ્લોટ ખરીદવા માટે સુધીરે પિયરમાંથી 2 લાખ રૂપિયા લાવવા તેના પર માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. આ અગાઉ પણ તેની પાસે 50 હજાર રૂપિયા માંગ્યા હતા. સાસુ-સસરા પણ તેના પુત્રને ઉશ્કેરતા હતા.
આ ઉપરાંત પતિએ તેની પત્નીના ફોનમાંથી પરિવારના તમામ સભ્યોના નંબર બ્લોક કરી દીધા હતા. જેથી તે પિયરમાં કોઈ સાથે વાત કરી શકતી નહોતી. તેમજ 8 ઓગસ્ટે બોલાચાલી દરમિયાન સુધીરનો ફોન તૂટી જતાં, તેણે સાળાને મેસેજ કરીને ધમકી આપી હતી કે, તમારી બહેનને કહેજો ફોન રિપેર કરાવી આપે, નહીં તો તેને જાનથી મારી નાખીશ.
9 ઓગસ્ટે સવારે પતિ ફોન રિપેર કરાવવા બહાર ગયો ત્યારે પરિણીતાએ તેની 8 મહિનાની બાળકીને પડોશીને સાચવવા આપી હતી. અડધા કલાક બાદ પડોશી ઘરે આવ્યા ત્યારે મહિલા ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી મળી હતી. પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ચોંકાવનારું પગલું ભરતાં પોલીસે તમમામ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.