Tue Aug 18 2026

Logo

અમદાવાદના ઠક્કરબાપાનગરમાં દબાણ હટાવવા ગયેલી મનપાની ટીમ પર પથ્થરમારો

2026-07-30 21:56:15
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ:
શાહેરના પૂર્વ વિસ્તાર ઠક્કરબાપાનગરમાં અમદાવાદ મહાનગરપાલિકા અને લારીવાળાઓ વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના બની હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર, ગુરુવારના રોજ દબાણ હટાવવા ગયેલી એસ્ટેટ વિભાગની ટીમ પર ઉશ્કેરાયેલા લારીવાળાઓએ પથ્થરમારો કર્યો હતો. રોડ પર દબાણ કરનારા શાકભાજી, ફળો અને પાણીપુરીના વેપારીઓને હટાવવાની કામગીરી દરમિયાન બોલાચાલી ઉગ્ર બની હતી. આ તંગદિલી ભર્યા માહોલમાં લારીવાળાઓએ દબાણ ખાતાની ગાડીઓ પર પથ્થરમારો કરતા એક ગાડીનો કાચ તૂટી ગયો હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે કેટલાક લારીવાળાઓએ વિરોધમાં રસ્તા પર શાકભાજી પણ ફેંકી દીધા હતા.

આ દબાણ હટાવવાની ઝુંબેશ પાછળનું મુખ્ય કારણ ટ્રાફિકની સમસ્યા અને રોડ નિર્માણની કામગીરીમાં પડતી અડચણ હતી. મળતી માહિતી મુજબ, રતનબા કેનાલ રોડ પર દરરોજ સવાર-સાંજ લારીઓ ઊભી રહેતી હોવાથી ભારે ટ્રાફિક જામ થતો હતો. આ ઉપરાંત, કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં નવો રોડ બનાવવાની કામગીરી ચાલી રહી હતી, પરંતુ લારીવાળાઓના સતત દબાણને કારણે કામગીરી થઈ શકતી ન હતી. આથી જાહેર માર્ગો ખુલ્લા કરવા અને ટ્રાફિક વ્યવસ્થા સરળ બનાવવાના નિયમિત પગલાંના ભાગરૂપે ત્રણ ગાડીઓ સાથે પહોંચેલા મનપાના કર્મચારીઓ અને મજૂરોને લારીવાળાઓના ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો.

પથ્થરમારા અને ઘર્ષણની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈને ગંભીર ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ નહોતા મળ્યા, પરંતુ પોલીસે કેટલાક તોફાની લારીવાળાઓની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું હતું.