Wed Aug 19 2026

Logo

રાજપાલ યાદવની વધી મુશ્કેલી: 16 કરોડની લોન નહીં ભરતા પૈતૃક સંપત્તિની થશે હરાજી

2026-08-06 20:02:25
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: બોલીવુડના જાણીતા અભિનેતા રાજપાલ યાદવની મુશ્કેલીઓ સતત વધી રહી છે. પોતાની કોમેડી અને અભિનયથી લાખો ચાહકો બનાવનાર રાજપાલ યાદવ હવે આર્થિક અને કાનૂની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ ઉત્તર પ્રદેશના શાહજહાંપુર સ્થિત તેમની પૈતૃક પ્રોપર્ટી પર અટેચમેન્ટ નોટિસ જાહેર કરી છે. બેંકના જણાવ્યા અનુસાર લોનના બાકી નાણાં હવે વધીને 16.61 કરોડ રૂપિયા થઈ ગયા છે. જો રાજપાલ યાદવ તેને સમયસર ચૂકવશે નહીં તો 9 સપ્ટેમ્બરે તેમની પૈતૃક પ્રોપર્ટીની ઓનલાઈન હરાજી કરવામાં આવી શકે છે.

બેંકે શાહજહાંપુર જિલ્લાના કુન્દ્રા ગામમાં આવેલી રાજપાલ યાદવની પૈતૃક પ્રોપર્ટી પર નોટિસ લગાવી છે. આ ઉપરાંત શાહજહાંપુરમાં આવેલી બીજી એક પ્રોપર્ટીને પણ હરાજીની પ્રક્રિયામાં સામેલ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર બંને સંપત્તિઓની અંદાજિત કિંમત લગભગ 3.19 કરોડ રૂપિયા છે, જ્યારે બેંકનો બાકી દાવો 16.61 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.

આ સમગ્ર મામલો રાજપાલ યાદવની પહેલી દિગ્દર્શિત ફિલ્મ ‘અતા પતા લપતા’ સાથે જોડાયેલો છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2005માં તેમણે પોતાના માતા-પિતાના નામે નવરંગ ગોદાવરી એન્ટરટેઇનમેન્ટ લિમિટેડ કંપની શરૂ કરી હતી. ફિલ્મ બનાવવા માટે તેમણે મુંબઈ સ્થિત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) શાખા પાસેથી 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી.જોકે, ફિલ્મ બોક્સઓફિસ પર સફળ રહી નહોતી અને લોનની સમયસર ચુકવણી થઈ શકી નહીં. ત્યાર બાદ વ્યાજ અને અન્ય બાકી રકમ વધતી ગઈ અને હવે બેંકના જણાવ્યા મુજબ કુલ બાકી રકમ 16.61 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

સંપત્તિની હરાજી પહેલાં રાજપાલ યાદવ પાસે કેટલાક વિકલ્પો હજુ પણ છે. તેઓ બેંક સાથે સમજૂતી કરીને બાકી લોન ચૂકવવાની યોજના બનાવી શકે છે અથવા બેંક પાસેથી વધુ સમય માગી શકે છે. જો બેંક અને લોનધારક વચ્ચે સહમતિ બને તો હરાજીની પ્રક્રિયા અટકી પણ શકે છે. રાજપાલ યાદવના મોટા ભાઈ શ્રીપાલ યાદવે જણાવ્યું છે કે આ જૂનો મામલો છે અને બેંક સાથે લોન ચુકવણી અંગે વાતચીત ચાલી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે હરાજીની સ્થિતિ સર્જાય તે પહેલાં મામલો ઉકેલાઈ જશે.