નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ફરી એકવાર કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે તેમના વિરુદ્ધ લોકસભામાં વિશેષાધિકાર ભંગ અને અવમાનના સંદર્ભમાં નોટિસ રજૂ કરી છે. અનુરાગ ઠાકુરના જણાવ્યા મુજબ રાહુલ ગાંધીએ ગૃહમાં બિનસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ વિષય પર હવે મામલો ગરમાયો છે. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે આ નોટિસ લોકસભા સ્પીકર ઓમ બિરલાને સુપરત કરી હતી. આ નોટિસ રાહુલ દ્વારા તા. 29 જુલાઈના રોજ ગૃહની કાર્યવાહી દરમિયાન કરવામાં આવેલી બિનસંસદીય ટિપ્પણી પર આધારિત છે.
ઠાકુરનો મોટો આરોપ
ઠાકુરનો એવો આરોપ છે કે, રાહુલ ગાંધીએ સદનમાં ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહની સામે અસંસદીય, અપમાનજનક અને પ્રમાણપત્ર વગરના ગંભીર આરોપ મૂક્યા છે. જેને સંસદીય પરંપરા અને સદનની ગરીમાની વિરુદ્ધ ગણાવાયા છે. રાહુલ ગાંધીએ સંસદમાં સંસદમાં ન શોભે એવી ભાષાનો પ્રયોગ કર્યો છે. આ સાથે સદનના નિયમ 352 (ii), (iii) અને (vii)નો પણ ભંગ કર્યો છે. સદન તરફથી રાહુલ ગાંધીના આવા અસંસદીય નિવેદનને સંસદની કાર્યવાહીમાંથી દૂર કરી દેવામાં આવ્યું છે. ત્રણ પાનાની નોટિસમાં, તેમણે ઓમ બિરલા પાસે માંગ કરી છે કે, તેઓ આ મામલો વિશેષાધિકાર સમિતિને સોંપે. સમિતિને સમગ્ર મુદ્દાની તપાસ કરવા અને યોગ્ય કાર્યવાહીની ભલામણ કરવા વિનંતી કરી.ભાજપના સાંસદે એવી પણ માંગ કરી હતી કે રાહુલ ગાંધીને ગૃહ અને ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ બિનશરતી માફી માંગવાનો નિર્દેશ આપવામાં આવે. વિપક્ષના નેતા દ્વારા આવી ભાષાનો ઉપયોગ સંસદીય કાર્યવાહીના શિષ્ટાચારને સંપૂર્ણપણે અયોગ્ય છે.
હવે અધ્યક્ષ કોઈ નિર્ણય લઈ શકે
બુધવારે, લોકસભામાં પેપર લીક વિરોધી બિલ પર ચર્ચા દરમિયાન, રાહુલ ગાંધીએ - કોઈનું નામ લીધા વિના - જંતર-મંતર પર એક મહિલા વિદ્યાર્થીનું ઉદાહરણ આપ્યું. એવો આરોપ છે કે, આમ કરીને, વિપક્ષના નેતાએ લોકસભાના નિયમ 352નું સ્પષ્ટ ઉલ્લંઘન કર્યું છે. નોટિસમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધીએ બિન-પ્રમાણિત આરોપો લગાવ્યા છે, જેનાથી ગૃહની ગરિમા નબળી પડી છે.અનુરાગ ઠાકુરે સમિતિને આ બાબતે જરૂરી પગલાં લેવાની ભલામણ કરવા પણ વિનંતી કરી છે જેથી ભવિષ્યમાં ગૃહની કાર્યવાહી દરમિયાન સભ્યો દ્વારા સંસદીય શિષ્ટાચાર જળવાઈ રહે.લોકસભા અધ્યક્ષ દ્વારા નોટિસ મળ્યા પછી, સંસદીય નિયમો અનુસાર આગળની પ્રક્રિયા નક્કી કરવામાં આવશે. ઓમ બિરલા નક્કી કરશે કે, આ મામલો વિશેષાધિકાર સમિતિને મોકલવો કે નહીં. જો નોટિસ સ્વીકારવામાં આવે છે, તો સમિતિ આ બાબતની તપાસ કરશે અને તેમને પોતાનો અહેવાલ સુપરત કરશે; તે અહેવાલના આધારે રાહુલ ગાંધી સામે યોગ્ય પગલાં લેવામાં આવી શકે છે.